Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

મગ-જાંબુના પ્રસાદ માટે શ્રધ્ધાળુઓ પડાપડી કરી

રથયાત્રામાં ઉપર્ણા પ્રસાદના સ્વરૂપે અપાયા : જુદા જુદા રૂટ પર પ્રસાદ લેવા માટે ધક્કામુક્કી-પડાપડી

અમદાવાદ,તા. ૧૪ : અમદાવાદ શહેરમાં જગન્નાથજીની રથયાત્રા આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા લાખોની સંખ્યામાં ઉર્પણા પ્રસાદ રૂપે વિતરિત કરાયા હતા. રથયાત્રાના રૂટમાં માર્ગો પર શ્રધ્ધાળુ ભકતોએ મગ-જાંબુના પ્રસાદ માટે રીતસરની પડાપડી કરી હતી.  ખાસ કરીને મહિલા-બાળકો અને યંગસ્ટર્સે પ્રસાદ લેવા માટે ધક્કામુક્કી અને પડાપડી કરતા નજરે પડ્યા હતા.  ભગવાન જગન્નાથજીની ભવ્યાતિભવ્ય રથયાત્રા દરમ્યાન ભાવિક ભકતોને લાખોની સંખ્યામાં કેસરી કલરના ઉપરણાં પ્રસાદરૂપે વિતરિત કરાયા હતા. રથયાત્રામાં ભગવાનને નેત્રોત્સવ વિધિ વખતે જે કેસર કલરના પાટા(ઉપર્ણા) બાંધવામાં આવે છે, તે પાટા રથયાત્રાના દિવસે ખોલ્યા બાદ આ ઉપર્ણા તેમના શ્રધ્ધાળુ ભકતોને પ્રસાદીરૂપે વહેંચવાની પરંપરા છે. રથયાત્રામાં કેસરી કલરના ઉપર્ણાનું અનેરૂ મહાત્મ્ય છે અને વર્ષોથી તે રથયાત્રાની આગવી ઓળખ આપે છે. મહંત દિલીપદાસજી મહારાજે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોને ભકિતરસના પ્રતિક સમા કેસરિયા ઉપર્ણા પહેરાવ્યા હતા. તો, ભકતો પણ ગળામાં અને માથે કેસરી ઉપર્ણા પહેરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા.  ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામે નગરની પરિક્રમા કરી હતી. રથયાત્રાના જુદા જુદા રૂટ પર પહેલાથી જ તમામ તૈયારી રથયાત્રાને લઇને કરી લેવામાં આવી હતી. રથયાત્રાના તમામ રૂટ પર પહેલાથી જ ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ગોઠવાઇ ગયા હતા અને એક ઝલક ભગવનાની મેળવી લેવા માટે ઉત્સુક દેખાયા હતા. આવી સ્થિતીમાં સુરક્ષા વ્યવસ્થા પણ ખુબ મજબુત રાખવામાં આવી હતી.

(8:29 pm IST)