Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં રથયાત્રા પર્વે નિરાજન...

આજથી ૨૨૦ વર્ષ પૂર્વે જગન્નાથપુરીની ભવ્યાતિભવ્ય રથયાત્રામાં શ્રી નીલકંઠવર્ણી – શ્રી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા.

અષાઢ સુદ બીજ એટલે અનેક ભક્તોનો ધાર્મિક અને આસ્થા – શ્રદ્ધાનો  શુભ દિન. વળી, કચ્છી નૂતન વર્ષારંભ... ભગવાન આજના દિવસે ભક્તોને દર્શન આપવા નગરમાં પધારે છે અને દિવ્ય દ્રષ્ટિથી અનેકને પવન કરે છે. દેશ પરદેશમાં અનેક સ્થળોએ જેવા કે અમદાવાદ, ભાવનગર આદિ અનેક શહેરોમાં રથયાત્રા નીકળે છે. ભક્તિ, સમર્પણ, સેવા આદિ અનેકવિધ સંસ્કૃતિક મુલ્યોને ઉજાગર કરતો હૃદય, મન અને શરીરની સાથે બુદ્ધિને પણ ભગવાનની સેવામાં માધ્યમ બનાવાનો મર્મ સમજાવતો આ રથયાત્રાનો ઉત્સવ જગન્નાથપુરીમાં પણ લાખો ભક્તો પરમ ઉમળકાભેર ઉજવે છે.

જગન્નાથપુરીમાં નીકળતી રથયાત્રા સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ પણ જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાને ૧૧ વર્ષની કુમળી વયે મહાભિનિષ્ક્રમણ – વનવિચરણ કર્યું. સંવત ૧૮૪૯ના અષાઢ સુદ દશમ, તા. ૨૯-૬-૧૭૯૨ ને શુક્રવારના રોજ વનવિચરણનો પ્રારંભ કર્યો હતો. ભારતના અનેક તીર્થોમાં વિચરણ કરતા શ્રી નીલકંઠ વર્ણી – શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રીપુર, બદરીનાથ, માનસરોવર, પુલ્હાશ્રમ, બુટોલપુર – નેપાળ, કપિલાશ્રમ, જગન્નાથપુરી, પુના, બુરાનપુર, સુરત આદિ તીર્થોમાં અને ગાઢ વનોમાં પગપાળા વનવિચરણ કરી, અનેક મોક્ષનો પથ – રાહ બતાવી વનમાં ૭ વર્ષ, ૧ માસ અને ૧૧ દિવસ સુધી સમગ્ર ભારત રાષ્ટ્રના તીર્થોમાં ૧૨૫૦૦ કિલોમીટરનું વિચરણ કરી સંવત ૧૮૫૬ન શ્રાવણ વદ આઠમ તા.૨૧-૮-૧૭૯૯ ના પુનિત દિને ગરવા ગુજરાતના સૌરાષ્ટ્રની ધરા પર લોજ મુકામે પધાર્યા હતા.

આ વનવિચરણના સમયગાળા દરમિયાન શ્રી નીલકંઠ વર્ણી – શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવત ૧૮૫૪ માં એટલે કે આજથી ૨૨૦ વર્ષ પૂર્વે જગન્નાથપુરી પધાર્યા હતા. અને ઇન્દ્રદ્યુમ્ન સરોવર પાસે શ્રી નીલકંઠવર્ણીએ મુકામ કર્યો હતો. ૬ માસ અને ૬ દિવસ સુધી રોકાયા હતા. જગન્નાથપુરીમાં સંવત ૧૮૫૪ના અષાઢ સુદ બીજ તા. ૨૬-૬-૧૭૯૭ ના શુભ દિને, સૌથી મોટા ઉત્સવ પર ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. ખુદ રાજા પોતાની પ્રજા સહીત ભક્તિભાવમાં ભીંજાઈ જાય. પરંતુ આ વખતે રાજા દિવ્યસિંહદેવને વિશેષ આનંદ હતો. જગન્નાથજી મહારાજના રથ સિવાય બીજો સુંદર રથ તૈયાર કરાવ્યો હતો. આજની રથયાત્રાનો દબદબો જ કઈ ઓર હતો. શ્રી નીલકંઠ વર્ણી – શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન અર્ચન કરીને રાજાજીએ આરતી ઉતારી. ભક્તો નાચતા કૂદતા , ઉત્સવ ગાન કરવા લાગ્યા. અરે! રથને ખેચવાનો લ્હાવો ખુદ રાજા દિવ્યસિંહદેવે લીધો હતો.

આમ, શ્રી નીલકંઠ વર્ણી – શ્રી સ્વામિનારાયણ ભગવાન જગન્નાથપુરીમાં નીકળતી રથયાત્રામાં બિરાજમાન થયા હોવાથી ઘણા શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં  રથયાત્રાના અવસરે ભગવાનની સ્મૃતિ માટે તેની ઉજવણી કરવામાં આવે છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરે વર્ષોથી આ પર્વને મનાવવામાં આવે છે. આજે પણ કલાત્મક રથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજને રથમાં બિરાજમાન કરી આરતી ઉતારવામાં આવી હતી. સૌ સંતો-ભક્તો પણ દર્શનાર્થે ઉમટ્યા હતા. વળી, અમદાવાદ શહેરમાં જગન્નાથજી મહારાજની રથયાત્રામાં વર્ષોથી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાંથી એક ટ્રક-શણગારેલો રથ જોડાય છે. આજે પણ શણગારેલા રથમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત સ્વામી શ્રી ભગવતપ્રિયદાસજી આડી પૂજનીય સંતોએ આરતી ઉતારી પ્રસ્થાન કરાવ્યું હતું.     

 

 

(2:10 pm IST)