Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જગન્નાથજી ભગવાનની રથયાત્રામાં પહિંદ વિધીનું ભારે મહત્વઃ નરેન્દ્રભાઇ મોદીને સૌથી વધુ ૧ર વખત આ વિધિ કરવાની તક મળીઃ ‘‘કેશુભાઇ પટેલે પ આનંદીબેને ર અને વિજયભાઇ રૂપાણીએ ૪ વખત પહિંદ વિધિ કરી’’

અમદાવાદ: અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથનો દિવસ એમ કહીએ તો જરાપણ ખોટું નથી. કેમ કે આ દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે. જોકે રથયાત્રા નીકળે તે પહેલાં કેટલીક પરંપરાગત વિધિઓ કરવામાં આવે છે. જેના વિશે બહુ ઓછા લોકો જાણતાં હશે. જેમ કે પહિંદ વિધિ એટલે શું? તેમ શા માટે કરવામાં આવે છે? રાજ્યના મુખ્યમંત્રી જ કેમ પહિંદ વિધિ કરે છે?. પહિંદ વિધિ પૂરી થયા પછી જ ત્રણેય રથ મંદિરની બહાર નીકળે છે અને પછી શરૂ થાય છે ભગવાનની નગરચર્યા.

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા આખા અમદાવાદ શહેરમાં નીકળે છે. જોકે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતાં પરંપરા 2020માં કોરોના મહામારીના કારણે તૂટી હતી. જેમાં ભગવાન પહેલીવાર નગરચર્યા પર નીકળ્યા ન હતા. જોકે રથયાત્રા તમામ વિધિ વિધાન સાથે મંદિર પરિસરમાં યોજવામાં આવી હતી.

શું છે ભગવાન જગન્નાથની પહિંદ વિધિનું મહત્વ:
 

ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા જગન્નાથજીના પહેલા સેવક ગણાય છે. જેના કારણે રથયાત્રા પહેલાં રાજા સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.

 

ભગવાન જગન્નાથની પહિંદ વિધી કેવી રીતે થાય છે:
 

અષાઢી બીજના દિવસે સવારની મંગળા આરતી પછી ભગવાન જગન્નાથ, બાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે. ત્યારબાદ રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

ક્યારથી થઈ પહિંદ વિધિની શરૂઆત:
 

અમદાવાદમાં રથયાત્રામાં છેલ્લાં 31 વર્ષથી રથયાત્રાની પહેલાં પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે.

કોણે કેટલી વખત કરાવી પહિંદ વિધિ:
 

રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીને રથયાત્રાની પહિંદ વિધિ કરવાની સુવર્ણ તક મળી છે. હાલના પ્રધાનમંત્રી અને તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી વધુ વખત 12 વખત પહિંદ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે 5 વખત પહિંદ વિધિ કરી હતી. આનંદીબેન પટેલે પણ મુખ્યમંત્રી તરીકે 2 વખત પહિંદ વિધિ કરાવી. જ્યારે હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ 4 વખત પહિંદ વિધી કરી ચૂક્યા છે.

(6:13 pm IST)