Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

આઇટી ઓફીસર-તબીબ અને પોલીસ અધિકારીઓ બાદ હવે ડેપ્યુટી કલેકટરને પણ જામીન ન મળ્યા

એસીબીના મજબુત કાયદાકીય ગાળીયા સામે ચાલુ વર્ષે પણ મોટા માથાઓ લાચાર સાબીત થયા :ગત સાલે ર૦ લાખ, ૭ લાખ જેવી મોટી રકમના લાંચના આરોપીઓએ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીઓ પણ પાછી ખેંચેલી

રાજકોટ, તા., ૧૪: સીબીઆઇનો બહોળો અનુભવ ધરાવતા રાજયના એસીબી વડા કેશવકુમારે મોટા મગરમચ્છો સામે અસરકારક ઝુંબેશ ચલાવી આવા મોટા માથાઓની અપ્રમાણસરની મિલ્કતો કબ્જે કરવા શરૂ કરેલ અભિયાન માફક આવા મોટા ભ્રષ્ટાચારીઓ અદાલતમાં કાયદાની છટકબારી સુધી જામીન મેળવવામાં સફળ ન બને તે માટે શરૂ કરેલ કવાયત રંગ લાવી છે. ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ મોટા માથાઓ અદાલતમાં ખોટી રીતે ફાવી શકયા ન હોવાનું એસીબી વડા કેશવકુમારે જણાવ્યું છે.

સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન  ગુન્હા રજીસ્ટર નં. ૪/૨૦૧૮ના ર્ગુન્હાના કામે પાટડી (જી.સુરેન્દ્રનગર)ના આરોપી નાયબ કલેકટર સુનિલભાઇ વસાવા તથા પાટડીના જ નાયબ મામલતદાર દિલીપકુમાર પ્રજાપતિ સામે રૂ.ર લાખ ૭૩ હજારની લાંચના છટકાનો ગુન્હો ચાલુ માસની છઠ્ઠી તારીખે નોંધવામાં આવેલ હતો.

આરોપી સુનિલભાઇ વસાવાએ સુરેન્દ્રનગર સેસન્સ અદાલતમાં કાયમી જામીન અરજી રજુ કરેલ. જે સેસન્સ અદાલતે નામંજુર કર્યાનું એસીબી સુત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે ગત સાલમાં ઇન્કમ ટેક્ષ ઓફીસર, તબીબ અને પોલીસ અધિકારી તથા સર્વેયરો જામીન મેળવવામાં એસીબીઁ વડાની કાયદાકીય વ્યુહરચના આગળ લાચાર બન્યા હતા. અત્રે યાદ રહે કે ડો.ધ્રુમીલ શાહ વડોદરાની જાણીતી સુમનદીપ વિદ્યાપીઠના કર્તાહર્તા મનસુખભાઇ શાહ સામે ર૦ લાખની લાંચ પ્રકરણમાં સામે કાર્યવાહી થઇ હતી. ડો.ધ્રુમીલ શાહે હાઇકોર્ટમાં જામીન અરજી કર્યા બાદ જામીન મળશે નહિ તેવું સમજી જામીન અરજી પરત ખેંચેલ.

આજ રીતે મહેસાણાના બે લાયસન્સ સર્વેયરો પોપટભાઇ ચૌધરી અને અમૃતભાઇ રાઠોડ તથા ખાનગી વ્યકિત વસંતભાઇ ચૌધરી દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી કર્યા બાદ જામીન નહિ મળે તેવું સમજી જતા અરજી પાછી ખેંચી હતી. વડોદરાના ચકચારી પ્રકરણ માફક દાહોદમાં ૮ લાખની લાંચ સ્વીકારવાના મામલે ઇન્કમ ટેક્ષ ઓફીસર દિનેશ મીનાએ  કાયમી જામીન મેળવવા અરજી કરેલ. જે અદાલતે નામંજુર કરી હતી.  આજ રીતે સુરતના કાપોદ્રા પોલીસ મથકના જેતે સમયના પીએસઆઇ કે.એમ.માલીવાડ લાંચના આરોપસર ઝડપાયેલા તેઓની અટક બાદ જામીન અરજી કરવાનું મન તો મનાવ્યું પણ એસીબી  પુરાવા જોયા બાદ જામીન અરજી પાછી ખેંચી હતી. આમ એસીબીની મોટા માથાઓને અદાલતમાં જામીન ન મળે અને લાંચીયાઓમાં ખોટા સંદેશા ન જાય તેવી ઝુંબેશ અસરકારક રહી છે.

એસીબીના ઇતિહાસમાં પ્રથમવાર ગેરકાયદે ખાણ-ખનીજ માફીયા સામેની ઝુંબેશનો સુરતથી પ્રારંભ થયાની  ચર્ચાને અકિલા સાથેની વાતચીતમાં એસીબી વડા કેશવકુમારે સમર્થન આપ્યું છે. સુરત એસીબી યુનીટ દ્વારા તાપી નદી નજીકના ગામે રેઇડ કરી હતી. શરૂઆતમાં તો ખનીજ માફીયાઓએ એસીબી ટીમ પર હુમલો કરવા પ્રયાસ કર્યો પરંતુ કારી ફાવી નહી. ઓછા સ્ટાફ છતાં ૩૦ ટ્રક અને બીજી મશીનરીઓ એસીબીએ કબ્જે કરી છે.

(4:14 pm IST)