Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ભાજપના ગઢ રાજકોટમાં અરવિંદ કેજરીવાલે કેવી રીતે એક સાથે રમ્યા ધર્મ, શિક્ષણ અને આરોગ્યનું કાર્ડ

આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુના પ્રવેશથી રાજકોટમાં AAPને મોટો વેગ મળ્યો છેઃ AAP નેતાઓનું કહેવું છે કે તેમના આવવાથી પાર્ટીને ઘણો ફાયદો થઈ રહ્યો છે

નવી દિલ્હી, તા.૧૪: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી પૂરા જોશ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. AAPના વડા અરવિંદ કેજરીવાલ છેલ્લા બે મહિનામાં ત્રણ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
તેમણે ૧૧ મેના રોજ રાજકોટમાં જાહેર સભા કરી હતી, ત્યારબાદ માર્ચમાં અમદાવાદમાં ત્રિરંગા યાત્રા અને ૧ મેના રોજ ભરૃચમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવા સાથે આદિવાસી સંમેલન કર્યું હતું. અહીં AAP ચીફના ધર્મ, શિક્ષણ અને આરોગ્ય કાર્ડે લોકોને ખૂબ પ્રભાવિત કર્યા. આના પરથી લાગે છે કે ધીરે ધીરે લોકોનો પાર્ટીમાં વિશ્વાસ વધવા લાગ્યો છે.
ગત મહિને રાજકોટના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુની એન્ટ્રી બાદ રાજકોટમાં AAPને વેગ મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે રાજકોટ બેઠક પર લાંબા સમયથી ભાજપનું શાસન છે. ૨૦૦૧માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ બેઠક પરથી ચૂંટણી જીતીને ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી ૨૦૧૪માં પશ્ચિમ રાજકોટથી ચૂંટણી જીત્યા હતા. રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ ખૂબ જ સક્રિય છે.
કેજરીવાલે વચન આપ્યું હતું કે જો AAP સત્તામાં આવશે, તો તે ગુજરાતના દરેક વૃદ્ઘોને અયોધ્યાની યાત્રા પર લઈ જશે અને સરકારી શાળાઓ અને હોસ્પિટલોમાં સારી સુવિધાઓ પ્રદાન કરશે. તેનાથી યુવાનો માટે રોજગારીની વધુ તકો પણ ઉભી થશે.
કેજરીવાલના શાળાઓ અને હોસ્પિટલોના વચનો અને અયોધ્યાયાત્રાએ લોકોને ખૂબ આકર્ષ્યા છે. AAPમાં વિશ્વાસ વ્યકત કરતા, જનતાએ કહ્યું કે તેમને લાગે છે કે પાર્ટી અહીં ચોક્કસપણે કંઈક સારું કરશે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની ૬૭ વર્ષીય ગૃહિણી મંગળા મુલિયાનાએ કહ્યું કે કોંગ્રેસના દિવસો પૂરા થઈ ગયા છે. 'જુઓ, તે પાર્ટીમાં માત્ર માતા-પુત્રની જોડી (સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની) બાકી છે... હવે આપ કી ઝૂપ જીતશે, મુલિયાનાએ કહ્યું. મુલિયાના ત્રણ વર્ષ પહેલા AAPમાં જોડાયા હતા.

 

(11:28 am IST)