Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

તૌકતે વાવાઝોડાની તાકાત વધી, ગુજરાત તરફ આવી રહ્યું છે

જાફરાબાદની ૭૦૦ જેટલી બોટો હજુ મધદરિયામા : જામનગરમા હજી ૧૮૫ જેટલી માછીમારી બોટ દરિયામાં છે, અત્યાર સુધી ૩૭ જેટલી બોટો દરિયાકાંઠે આવી ગઈ

અમદાવાદ,તા.૧૪ : આ વર્ષનું પહેલુ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનું છે. તૌકતે વાવાઝોડ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું છે. આગામી ૧૨ કલાકમાં ડિપ-ડિપ્રેશન બનશે અને આવતીકાલે સાયક્લોનમાં તબદીલ થશે. ગુજરાતના દરિયાઈ વિસ્તાર ખાતે ૧૮ તારીખે સવારે વાવાઝોડું પહોંચશે. આ વાવાઝોડા વચ્ચે દરિયા કાંઠાના તમામ માછીમારોને પરત ફરવાની સૂચના આપી દેવાઈ છે. તેમજ ૧૬ તારીખથી દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. વાવાઝોડાની અસર રૂપે દક્ષિણ અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. અદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જામનગરમા હજી પણ ૧૮૫ જેટલી માછીમારી બોટ દરિયામાં છે. અત્યાર સુધી ૩૭ જેટલી બોટો દરિયાકાંઠે આવી ગઈ છે.

          જામનગરમાં કુલ ૨૨૨ જેટલી માછીમારી બોટ છે. જેમાંથી ૧૮૫ જેટલી માછીમાર બોટ દરિયાકાંઠે આવવાની બાકી છે. જામનગરમાં તૌકતે સાયક્લોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યુ છે. દરેક તાલુકામાં કલાસ-૧ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે. રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ બનાવાયો છે. જેમાં આશ્રયસ્થાનો, નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર, વીજ પુરવઠો, દવાઓ, બચાવ અને રાહત કામગીરી સહિતના મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. અમરેલીમાં વાવાઝોડાને લઈ જાફરાબાદના માછીમારોને બોટ સાથે પરત બોલાવવા સૂચના ગઈ કાલે આપી દેવાઈ હતી. જાફરાબાદની ૭૦૦ જેટલી બોટો હજુ પણ મધદરિયામા છે. જેમનો સંપર્ક નથી થઈ રહ્યો. બોટ એસોસિએશન પ્રમુખ કનેયાલાલ સોલંકીએ જણાવ્યું કે, સરકારને વાંરવાર રજૂઆતો કરી વરસાદી વાતાવરણમા વાયરલેસ બંધ થાય છે. જેના કારણે બોટો સમયસર પહોંચતી નથી. સેટેલાઈટ ફોન હોય તો તાત્કાલિક દરિયાકાંઠે માછીમારો બોટો સાથે પહોંચી શકે છે. માછીમારોનો સંપર્ક નહિ થતા બોટ એસોસિએશન સહિત માછીમારો ચિંતામાં મૂકાયા છે.

(9:19 pm IST)