Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

વાવાઝોડુ 'તૌકતે' હવે ૧૮મી સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે

કાલે શનિવાર સવારથી પવનની ઝડપ ૪૦થી ૫૦ કિલોમીટર અને ૧૮મીની સાંજ સુધી પવનની ગતિ વધીને ૭૦ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છેઃ લક્ષદ્રીપ કેરળ અને કર્ણાટકમાં આવતીકાલથી ૧૬મી સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે : કચ્છ અને દક્ષિણ રાજસ્થાનના દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં ૧૬ થી ૧૮ મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરતુ હવામાન ખાતુ

રાજકોટઃ ભારતના હવામાન વિભાગ (આઈએમડી) એ કહ્યું છે કે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલા એક 'ઉચ્ચ-તીવ્રતા' ધરાવતું વાવાઝોડું દક્ષિણ ગુજરાત અને પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે અને ૧૮ મેની આસપાસ તેમના દરિયાકાંઠે પહોંચશે.

 જો આ મુજબ બનશે તો આ વર્ષે, ૨૦૨૧માં ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં બનનાર આ પહેલું વાવાઝોડું હશે. દરમિયાન  પ્રવર્તતી ગરમ સમુદ્રની સ્થિતિ  આ વિસ્તારમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાવાની તરફેણ કરે છે.  ચક્રવાત તરીકે આ સિસ્ટમ્સ સાકાર થાય એટલે મ્યાનમાર દ્વારા અપાયેલ તૌકતે નામ આપવામાં આવશે. 

 ગઇકાલે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને નજીકના લક્ષદ્વીપ વિસ્તારમાં લો-પ્રેશર સિસ્ટમ વિકસિત થઈ છે. જે આજે  વેલ માર્કડ લો-પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ જશે અને ૧૫ મે શનિવાર સુધીમાં વધુ  તીવ્ર બનશે અને  લક્ષદ્વીપ ક્ષેત્રમાં આવવાની ધારણા છે.  બાદમાં, ૧૬ મે રવિવારના રોજ, ડીપ ડિપ્રેસન વધુ મજબૂત વની ચક્રવાત-વાવાઝોડા તરીકે જન્મ લેશે તેમ હવામાન ખાતું કહે છે. તે વધુ તીવ્ર બને અને ઉત્તર-ઉત્તર દિશામાં ગુજરાત અને તેને  અડીને આવેલા પાકિસ્તાનના  દરિયાકાંઠા તરફ જાય તેવી સંભાવના છે. ૧૮ મેના રોજ સાંજની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે.

 વર્તમાન લો પ્રેશર સિસ્ટમ્સ માત્ર ત્રણ દિવસના ગાળામાં જ, ઓછામાં ઓછા ચાર કે તેથી વધુ તબક્કાઓમાં તીવ્ર બનશે, જે સૂચવે છે કે આગામી દિવસોમાં અરબી સમુદ્ર ઉપર ખુબજ ગંભીર તીવ્રતાવાળા ચક્રવાતનો જન્મ થવાની પૂરી સંભાવના છે.   એકવાર સિસ્ટમ્સ ડિપ્રેશનમાં ફેરવાય છે ત્યારે હવામાન શાસ્ત્રીઓ દ્વારા ચોક્કસ ખાતરી સાથે સિસ્ટમ્સના સંભવિત ટ્રેક, ગતિવિધિ અંગે સ્પષ્ટ જાણકારી આપી શકશે.

  આ સિસ્ટમ્સ અતિ તીવ્ર માત્રાનું સ્વરૂપ લ્યે તેવી અપેક્ષા છે.  આ માટે બળ આપનાર પરિબળોમાંનું એક સમુદ્ર સપાટીનું ખૂબ ઊંચું તાપમાન છે જે હાલમાં  અરબી સમુદ્ર ઉપર પ્રવર્તે છે.  એવું જોવા મળ્યું છે કે સમુદ્રનાં પાણી, ૫૦ મિટરની ઉંડાઈ સુધી પણ ખૂબ ગરમ છે. જેના લીધે  બાષ્પી ભવનની ઠંડક દ્વારા સિસ્ટમ્સમાં વધુ ઉર્જા પહોંચાડશે અને ઝડપથી આ વાવાઝોડાને વધુ તીવ્ર બનવા માટે મદદ કરશેે.

આ સિસ્ટમ્સ લક્ષદીપથી  ગુજરાત તરફ પસાર થવાની અપેક્ષા છે, તેથી  લક્ષદીપ, કેરળ અને કર્ણાટકમાં તા. ૧૪ થી ૧૬ મે દરમિયાન ભારેથી ભારે વરસાદ (૨૦૪ મીમીથી વધુ, એટલે કે ૮ ઇંચથી વધુ) ખાબકશે તેવી સંભાવના રહેલી  છે. અનુમાનિત ટ્રેક ઉત્તર-પશ્ચિમ દિશાના માર્ગને સૂચવે છે. જેના પરિણામે ગોવા અને દક્ષિણ કોંકણમાં  હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

  આગાહી મુજબ, દક્ષિણ કોંકણ અને ગોવા અને કચ્છ અને દક્ષિણ રાજસ્થાનના દક્ષિણ ગુજરાતના સરહદી  વિસ્તારોમાં ૧૬ થી ૧૮ મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

 આવતીકાલ શનિવારની સવારથી પશ્ચિમ સાગર કાંઠે ૪૦ થી ૫૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિથી તીવ્ર પવન ફૂંકાશે. ૧૮ મી મેના સાંજ સુધી પવનની ગતિ વધીને ૭૦ કિ.મી. પ્રતિ  કલાકની થવાની સંભાવના છે. સમુદ્રની આવી તોફાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દૂર સુધી સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

(11:29 am IST)