Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

થરાદના માંગરોળમાંથી આધેડનો હત્યા કરાયેલ મૃતદેહ મળતાં ચકચાર

થરાદ તાલુકાના રામદાસભાઇ દાંનાભાઇ પરમાર(દલિત) ઉ.વ.૪૫નાઓએ ગામના પટેલ કરશનભાઇ હેમરાજાભાઇના ખેતરમાં ભાગથી વાવેતર કરેલ છે.શનિવારના સવારના સાતેક વાગ્યાના સુમારે રામદાસભાઇનો મૃતદેહ ગામના પટેલ રાસેંગભાઇ દાંનાભાઇના પડતર ખેતરમાંથી મળી આવ્યો હતો.

   આ બનાવ અંગે મૃતકના ભાઇ ધનાભાઇ દાનાભાઇ પરમારને તેમના પિતરાઇ વાઘાભાઇ પુરાભાઇએ ફોન કરીને જાણ કરતાં તેઓ દોડીને સ્થળ પર ગયા હતા.જ્યાં મૃતકનાં કાકી ભીખીબેન ગજાભાઇના ખેતરના ઝાંપા પાસેના રસ્તાની સામેથી રામદાસભાઇનો મૃતદેહ આશરે ૧૦૦ ફુટ ઘસડીને કેયડાના ઝળાની ઓથે મુકી દીધેલ જણાયો હતો.તેના શરીર પર બાહ્ય ઇજાનાં નિશાન ન હતાં પરંતુ લોહી નિકળેલ અને કિડીઓ ચોંટેલ જણાતાં ઠંડે કલેજે કાસળ કાઢવામાં આવ્યું હોવાનું પ્રતિત થતું હતું.મૃતદેહ પાસેથી મૃતકની લુંગી અને બેટરી પણ મળી આવ્યાં હતાં.

ઘટનાની જાણ થતાં એએસપી અજીત રાજ્યાણ સહિત અધિકારી અને કર્મચારીઓ દોડી આવ્યા હતા.બીજી બાજુ મૃતકના પરિવારજનોએ શુક્રવારની રાત્રિના દસ વાગ્યે પરિવારની સાથે રામદાસભાઇ પણ સુઇ ગયેલ હોવાનું જણાવ્યું હતું.જો કે ત્યાર બાદ શુ થયું તેની કોઇને ખબર ન હતી.જ્યારે મૃતકનો બે કાર્ડ ધરાવતો મોબાઇલ ઘેર નહી હોવાનું જાણવા મળ્યું હતું.થરાદ પોલીસે મૃતકના ભાઇ ધનાભાઇની ફરિયાદના આધારે અજાણ્યા શખસ સામે રામદાસભાઇને રાત્રે દસેક વાગ્યા પછી ઘેરથી બોલાવી કોઇ પણ રીતે મારી નાખ્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવને પગલે ગામ અને પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચવા પામી હતી.

(4:44 pm IST)