Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

આણંદ નજીક મોગરી-અંધારિયા નજીક તસ્કરોએ ખેતરને નિશાન બનાવી 400 કિલો દિવેલની ચોરી કરી

આણંદ:નજીક આવેલ વિદ્યાનગર પાસેના મોગરી-અંધારીયા રોડ પર ખેતરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.આ  ખેતરમાંથી લેવાયેલ દિવેલીના કોથળાની ચોરીને અંજામ અપાયો હતો. અંદાજીત ૪૦૦ કિલો કિંમત આશરે ૧૫,૦૦૦/-ના દિવેલાની ચોરી થતા વિદ્યાનગર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી તપાસના ચક્રો ગતિમાન કરાવ્યા છે.

આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વિદ્યાનગર તાબે મોગરી અંધારીયા રોડ પર આવેલ એક ખેતરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં ચિરાગભાઈ ગીરીશભાઈ પટેલના દિવેલીના ખેતરને તસ્કરોએ ગઈ તા. ૧૧મી થી ૧૨મીના રોજ નિશાન બનાવ્યું હતું.

 તેમના ખેતરમાં થોડા દિવસ પહેલા દિવેલીના પાકની ગુણો ભરવામાં આવી હતી. એક ગુણમાં ૫૦ કિલો મળી કુલ ૪૦૦ કિલો દિવેલીના કોથળા ભરવામાં આવ્યા હતા.

ઉક્ત તારીખના સમયગાળામાં તેમના ખેતરમાં મુકેલ આ દિવેલીના કોથળાની ચોરી કરવામાં આવી હતી. જેમાં અંદાજે ૧૫,૦૦૦/-ની મત્તા ચોરાઈ હોવાથી ગુરુવારે મોડી રાતના સુમારે વિદ્યાનગર પોલીસ મથકે ચોરીની ફરિયાદ ચિરાગભાઈ દ્વારા નોંધાઈ હતી.

(4:45 pm IST)