Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

છ યાત્રાધામોને ૩૨૫ કરોડના ખર્ચે સીસીટીવીથી જોડી દેવાશે

સુરત ડાયમંડ દ્વારા પોલીસ અભિવાદન કાર્યક્રમઃ અપરાધીને સાંખી લેવામાં આવશે નહીં : ગુજરાતની છાપ એક શાંતિપ્રિય રાજ્ય તરીકેની રહી છે : મુખ્યમંત્રી રૂપાણી

અમદાવાદ,તા.૧૩: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોઈપણ રાજ્યના વિકાસના પાયામાં તેની સુરક્ષા અને સલામતી હોય છે, ગુજરાત રાજ્યની સુખ અને સમૃદ્ધિના મૂળમાં કાયદો અને વ્યવસ્થાના સખત અમલીકરણથી પ્રસ્થાપિત થયેલ શાંતિ અને સલામતી છે. રાજ્યના આર્થિક પાટનગર સૂરતમાં થયેલી ૨૦ કરોડના હીરાની લૂંટનો ભેદ માત્ર ૬૦ કલાકના રેકોર્ડ સમયમાં ઉકેલીને પોલીસની અદ્ધિતીય શક્તિનો પરિચય આપનારી સૂરત પોલિસ ટીમનું મુખ્યમંત્રીએ સૂરત ડાયમંડ એસોસિએશનના ઉપક્રમે ગઈ કાલે સન્માન કર્યું હતું. વિજય રૂપાણીએ સુદ્રઢ કાયદો અને વ્યવસ્થાને કારણે રોજગારી અને વ્યવસાયીક રોકાણનું પ્રમાણ વધે છે તેમ ગુજરાત પોલીસની સજ્જતાને બિરદાવતા ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, સીસીટીવી કેમેરા જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી ગુનેગારોની દબોચી લેવામાં સફળતા સાંપડી છે, ત્યારે રાજ્ય સરકાર રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૬ યાત્રાધામોને ૩૨૫ કરોડના ખર્ચે સીસીટીવી નેટવર્કથી સુસજજ કરશે. તાજેતરમાં સૂરતમાં ૨૦ કરોડના હિરાની લૂંટનો ભેદ ઉકેલનારા જાંબાઝ પોલિસકર્મીઓ-અધિકારીઓનું જાહેર અભિવાદન કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જાંબાઝ પોલિસ જવાનોનો જુસ્સો વધારતા પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યની છાપ એક શાંતિપ્રિય રાજ્ય તરીકે પ્રખ્યાત છે.

ગુજરાત પોલીસની ચાંપતી નજર, સક્રિયતા તથા આધુનિકટેકનોલોજીના કારણે ગુના બન્યા પછી તે ઝડપથી ઉકેલાઈ જાય છે. અપરાધીઓને સાંખી ન લેવાના મિજાજથી ગુજરાત પોલિસનો ભારતભરમાં દબદબો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિથી ભારતની એકમાત્ર અને સર્વપ્રથમ રક્ષાશક્તિ યુનિવર્સિટી સાકાર થઈ છે. રાજ્યની શાંતિ, સુખાકારી અને સલામતીની જવાબદારી નિભાવતા પોલિસતંત્રમાં આ સરકારે મોટા પાયે ભરતી કરી છે. સાયબર ક્રાઈમમાં થઈ રહેલા ઉત્તરોત્તર વધારાને કારણે પોલિસતંત્રને ડિજીટલ બનાવવા પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પાછલા થોડા સમયમાં જુનાગઢ, કડી, સૂરત, અમદાવાદ વગેરે શહેરોમાં થયેલા ચોરી, લૂંટ, હત્યાના કેસોને ગણતરીના કલાકોમાં ઉખેલીને ગુજરાત પોલિસે ગુનેગારોમાં ધાક બેસાડી છે. પરિણામે ગુનેગારોમાં પોલિસનો ફફડાટ ફેલાયો છે એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ગર્વભેર કહ્યું કે, રાજ્ય સરકારની પ્રોત્સાહક અને હકારાત્મક નીતિઓના પરિણામે ગુનાખોરી ડામવામાં ગુજરાત રાજ્ય અને ગુજરાત પોલીસ હંમેશા અગ્રેસર રહ્યાં છે. રૂપાણીએ પોલિસના સન્માનના કિસ્સા જૂજ બનતા હોવાનું જણાવી પોલિસકર્મીઓના સન્માન અને પ્રોત્સાહનથી પોલિસનું મનોબળ મજબુત થવાની સાથે તેમને જુસ્સાભેર કાર્ય કરવાનું બળ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય, શિક્ષણ તથા સેવાકીય ક્ષેત્રે આગવું પ્રદાન કરતા સૂરત ડાયમંડ એસોસિએશન અને સૂરત પોલિસની સમગ્ર ટીમને અભિનંદન આપી ઉત્તમ કામગીરી બદલ બિરદાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત ૧૪ માર્ચના રોજ સૂરત કતારગામ વિસ્તારમાં પાંચ લૂંટરૂઓએ ગ્લોસ્ટાર ડાયમંડ કંપનીના કર્મચારી ઉપર હુમલો કરી અંદાજીત ૨૦ કરોડના હીરાની લૂંટ કરી હતી, જેનો સૂરતની બાહોશ પોલિસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાંખીને લૂંટમાં સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી હતી

(9:54 pm IST)