Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

આણંદ-વિદ્યાનગર રોડ પર મકાનની બારીનો સળીયો કાઢી તસ્કરોએ 5.27 લાખની મતાનો હાથફેરો કર્યો

આણંદ: આણંદ-વિદ્યાનગર રોડ પર ઉપરના માળે પરિવાર સૂતો રહ્યો હતો ત્યારે બીજી તરફ વેપારીના પરિવારના મકાનની બારીનો સળીયો કોઈ સાધન વડે કાઢી નાંખી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 5.27 લાખની મત્તાની ચોરી કરી હતી. આણંદ પોલીસે ડોગ સ્કોવર્ડની મદદથી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા એચ.એમ. પટેલ સ્ટેચ્યુ પાસે બંસી બંગલોમાં પ્રદિપભાઈ જયદીપભાઈ શાહ પરિવાર સાથે રહે છે. તેઓ જીઆઈડીસીમાં કેબલ બનાવવાનું કારખાનું છેલ્લાં દસ વર્ષથી ધરાવે છે. ગત 10 માર્ચે તેઓ દિલ્હી ગયા હતા. દરમિયાન, મંગ‌ળવારે પરોઢિયે તેઓ કામ પૂરૂં કરીને દિલ્હીથી પરત આવી રહ્યા હતા. તેઓ રસ્તામાં હતા એ જ વખતે રાત્રે ત્રણ કલાકે તેમના મોબાઈલ ફોન પર તેમની પત્ની વર્ષાનો ફોન આવ્યો હતો.

જેમાં તેમણે તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જેની જાણ નીચેના માળે અવાજ થતાં તેમને થઈ હતી. ઘરે આવીને જોયું હતું જેમાં ઘરની તિજોરીનો સામાન અસ્તવ્યસ્ત હતો. તેમજ લાકડાના ડ્રોઅરમાંથી રોકડા રૂ. 15 હજાર તેમજ દાગીના મળી કુલ રૂ. 5.27 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું જણાયું હતું.

(7:00 pm IST)