Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

આણંદ:કેનેડાની વર્કપરમીટ વિઝાના બહાને ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ :20 લોકો પાસેથી 17,05 લાખની છેતરપિંડી:ફરિયાદ દાખલ

પાદરા, નડીઆદ, વડોદરા, અમદાવાદના 20 જેટલા વ્યક્તિઓને ઠગ્યા હોવાનું ખુલ્યું

 આણંદ:વર્કપરમીટના બહાને લોકોને છેતરતી ટોળકીનો પર્દાફાશ થયો છે આ ઠગ ટોળી દ્વારા કેનેડાના વર્ક પરમીટ વિઝાના બહાને વીસ જેટલા વ્યક્તિઓ પાસેથી કુલ ૧૭.૦૫ લાખની છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકે દાખલ થવા પામી છે. 

 આ અંગેની વિગત મુજબ નડીઆદ ખાતે રહેતા વિણાબેન મોહનભાઈ પટેલે ગત ફેબ્રુઆરીમાં વિદેશ જવું હોય તેઓએ પાદરા તાલુકાના દાજીપુરા ખાતે રહેતા પોતાના બહેનપણી સંગીતાબેન રાયસીંગભાઈ પરમારનો ફોન પર સંપર્ક સાધ્યો હતો. જેમણે આણંદના ધીરુભાઈ પરમારનો નંબર આપીને તેમને મળવા માટે જણાવતાં વિણાબેને ઓક્ટોમ્બરમાં ધીરૂભાઈના ફોન નંબર પર સંપર્ક કરતાં તેઓએ ગણેશ ચોકડીએ મળવા માટે બોલાવ્યા હતા. જ્યાં વિણાબેન જતાં ધીરૂભાઈ મળ્યા હતા અને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાની વાત કરી હતી. 

આ માટે ૫૫ હજાર પહેલા, પાસપોર્ટ તેમજ ડોક્યુમેન્ટની માંગણી કરી હતી. જે તે વખતે હાજરમાં ના હોય નવેમ્બરના પહેલા સપ્તાહમાં વિણાબેનના ઘરે આવીને ધીરૂભાઈ લઈ ગયા હતા. ત્યારે ૩૦ હજાર રોકડા અને ૫ હજાર મેડીકલના આપ્યા હતા. બીજા દિવસે ધીરૂભાઈ વર્ક પરમીટ વિઝા લઈને આવ્યા હતા અને ૧૫મી જાન્યુઆરીના રોજ દિલ્હી બોલાવ્યા હતા જ્યાં એક હોટલમા રાખ્યા હતા અને બીજા ૨૦ હજાર તથા ટિકિટ વગેરેના ૧૦ હજાર લઈને સબમીશ માટે મોકલ્યા હતા. જ્યાં ધીરૂભાઈ પરમાર, દિેનશભાઈ પરમાર, મિતેશ રાજેન્દ્રભાઈ પટેલ, કલ્પેશભાઈ આર. પટેલ અને સંગીતાબેન (રે. તમામ આણંદ) પણ દિલ્હી ખાતે મળ્યા હતા. સબમીશન પુરુ થઈ ગયા બાદ પરત મોકલી દીધા હતા અને ૨૫મી ડિસેમ્બરના રોજ કેનેડા જવાના વિઝા આવી જશે તેમ જણાવ્યું હતુ. આ પેટે તેમણે અત્યાર સુધી છ લાખ રોકડા અને પાંચ હજાર મેડીકલના આપ્યા હતા. ત્યારબાદ ધીરૂભાઈ પરમારનો ફોન સ્વીચ ઓફ થઈ જવા પામ્યો હતો. તેઓની આણંદ ખાતે તપાસ કરતાં પણ મળી આવ્યા નહોતા. જેથી તપાસ કરતા આ શખ્સોએ પાદરા, નડીઆદ, વડોદરા, અમદાવાદના કુલ ૨૦ જેટલા વ્યક્તિઓ પાસેથી ૧૭.૦૫ લાખ રૂપિયા ઠગ્યા હોવાનું ખુલવા પામ્યું હતુ. આ અંગે આણંદ શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

    વર્ક પરમીટ વિઝાના આધારે વિદેશ મોકલવાના બહાને ઠગાઈ કરતી ટોળીનો કેટલાય લોકો ભોગ બન્યા છે. મુળ કાસોરનો મીતેશ પટેલ, આણંદનો ધીરૂભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, કલ્પેશભાઈ આર. પટેલ વગેરે દ્વારા ક્યારેક સીંગાપુર, ક્યારેક મલેશિયા તો ક્યારેક કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાની લોભામણી જાહેરાતો આપતા હતા જેના આધારે સંપર્ક કરનાર પરદેશવાંચ્છુઓને બનાવટી દસ્તાવેજો દ્વારા ભોળવી દઈને તેઓની પાસેથી લાખો રૂપિયા ઠગીને નૌ દો ગ્યારહ થઈ જાય છે. મીતેશ પટેલ વિરૂધ્ધ આણંદ શહેર પોલીસ મથકે જ બે થી ત્રણ જેટલા ગુનાઓ દાખલ થયા છે અને તેમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ જામીન પર છુટ્યા બાદ ફરીથી વર્ક પરમીટ વિઝાના બહાને ઠગાઈનો ધંધો ચાલુ કરી દેતો હતો. જેથી આ ટોળી વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ એક માંગણી ઉઠવા પામી છે.

(10:51 pm IST)