Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સુરતમાં ૩ વર્ષની બાળા ઉપર દુષ્‍કર્મ આચરનાર અનિલ યાદવે ફાંસીની સજાને સુપ્રિમમાં પડકારતા ફાંસીની સજામાં વિલંબની સંભાવના

સુરત : દિલ્હીમાં નિર્ભયા કેસના આરોપીઓની ફાંસી કાયદાકીય ગુંચવાડામાં ફસાઈ છે ત્યારે ગુજરાતમાં સુરતની ત્રણ વર્ષની બાળકીનો રેપિસ્ટ અનિલ યાદવ પણ ફાંસીની સજામાંથી છટકવાની તૈયારી કરી રહ્યો છે. આ આરોપીની ફાંસીની સજાને હાઇકોર્ટની બહાલીથી સેસન્સ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે. આ સિવાય ડેથ વોરન્ટ જારી કરીને 29મી ફેબ્રુઆરીએ ફાંસી આપવા હુકમ કર્યો છે જેના પગલે અમદાવાદની સાબરમતી જેલમાં આરોપીને ફાંસી આપવા તૈયારીઓ શરૂ થઇ છે. જોકે હવે માહિતી મળી છે કે આરોપીએ ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. અનિલ યાદવના આ પગલાને કારણે તેની ફાંસીની સજાની તારીખ વિલંબમાં મુકાઈ શકે છે.

પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ સહિત અન્ય રાજયની જેમ ગુજરાતમાં વર્ષોથી જલ્લાદ જ નથી. આ જોતાં આરોપીને ફાંસી આપવા માટે નિર્ભયા કેસમાં ય મેરઠના પવન જલ્લાદની મદદ લેવાઇ હતી. હવે ગુજરાતના જેલ સત્તાધીશોએ પણ જલ્લાદ માટે તિહાર અને યવરડા જેલનો સંપર્ક સાધ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં રાજકોટ અને વડોદરામાં જેલમાં ફાંસી અપાઇ ત્યારે યરવડા જેલમાંથી જ જલ્લાદ બોલાવાયા હતાં.

આ ઘટનાની વાત કરીએ તો બાળકીનો પરિવાર જે મકાનમાં રહેતો હતો તેના નીચેના મકાનમાં જ રહેતા અનિલ યાદવે બાળકી પર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી મોટા અવાજે રડવા લાગતા ગભરાયેલા અનિલે તેનું ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા પછી લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી તેના પર બે ડોલ મૂકી દીધી હતી. પોલીસે બંધ મકાનનું તાળું તોડતા બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પોતાના વતન ભાગી ગયો હતો. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારના આદેશને પગલે સ્પિડ ટ્રાયલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે તે સમયે સરકારે તો બે જ અઠવાડિયામાં કેસના નિકાલનો આદેશ કર્યો હતો. અનિલ યાદવે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે દુષ્કર્મ પહેલા 14 ઓક્ટોબરની રાત્રે મોબાઇલ પર અશ્લિલ વીડિયો જોયા હતા ત્યાર બાદ સાડા ત્રણ વર્ષની બાળકી રૂમમાં આવી જતા બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેની હત્યા કરીને ટ્રેન મારફતે બિહાર પોતાના વતન ભાગ્યો હતો.

(4:49 pm IST)