Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ડીસા-થરાદ હાઇવે ઉપર રામપુર નજીક એસટી બસ પર પથ્થરમારો:મુસાફરોનો આબાદ બચાવ

બસ ઉપર પથ્થરમારો કરતા આગળનો કાચ તુટી ગયો

 

ડીસા-થરાદ હાઇવે પર એસ.ટી બસ ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઘટનામાં બસનો આગળના કાચને ભારે નુકશાન થયુ હતુ. જોકે સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો છે. પથ્થરમારાની ઘટનામાં બસને અંદાજીત ૧૪,૦૦૦નું નુકશાન થયુ હોવાથી ડ્રાઇવરે અજાણ્યા લોકો વિરુદ્ધ ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બનાસકાંઠા જીલ્લાના ડીસા-થરાદ હાઇવે ઉપર રામપુર પાસે બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગઇકાલે મોડી રાત્રે વલસાડથી થરાદ આવી રહેલી એસટી બસ રામપુરા પાસે પહોંચ્યા બાદ બમ્પ હોવાથી ડ્રાઇવર જગતસિંહ ચૌહાણે બસની સ્પીડ ધીમી કરી હતી. આ દરમ્યાન અજાણ્યા ઇસમે બસ ઉપર પથ્થરમારો કરતા આગળનો કાચ તુટી ગયો હતો. ઘટનામાં ડ્રાઇવર-કંડક્ટર સહિત મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અજાણ્યા શખ્સે હુમલો કરતા બસનો કાચ તુટી જતા અંદાજે ૧૪,૦૦૦નું નુકશાન થયુ હતુ. સમગ્ર મામલે વલસાડ ડેપોના ડ્રાઇવર જગતસિંહ ચૌહાણે અજાણ્યા ઇસમ સામે ફરીયાદ નોંધાવી છે. ભીલડી પોલીસે આઇપીસીની કલમ ૩૩૭ અને ૪૨૭ મુજબ વધુ તપાસ હાથ ધરી છે

(12:31 am IST)