Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સમારોહ પહેલા બે સરપંચો સરકારની વિરૂદ્ધ આવી ગયા

સરપંચ અભિવાદન સમારોહ પહેલા વિવાદ : અગાઉનો સરપંચ સમારોહનો ફિયાસ્કો થયા બાદ ફરીથી બે સરપંચ બડબોલા નીકળ્યા : સમજાવવાના પ્રયાસ થયા

અમદાવાદ,તા. ૧૪ : ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. સમારોહ પહેલા જ બે સરપંચે ખુલ્લેઆમ સરકાર સામે નારાજગી દર્શાવતા ભાજપ સામે મુશ્કેલી સર્જાઈ હતી. આજે ફરી ભાજપને ખાસ કરીને સરકારને વિવાદમાં ઘસડાવાનો વારો આવ્યો હતો. કારણ કે, સમારોહની શરૂઆત પહેલાં જ બે સરંપચોએ ખુલ્લેઆમ સરકાર સામે ભારોભાર નારાજગી દર્શાવી હતી અને ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે, રાજય સરકાર સરપંચોનો માત્ર શોભાના ગાંઠિયા સમાન ઉપયોગ કરી રહી છે. કાર્યક્રમમાં જ ખુદ બે સરપંચો દ્વારા સરકાર સામે આવા ગંભીર આક્ષેપથી ચકચાર મચી ગઇ હતી. જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પિખોર ગામના સરપંચ દિપકભાઇ સોંદરવાએ સરકાર સામે બોલવાની હિંમત બતાવતાં બીજા એક સરપંચ ગાંધીગરના કાનપુર ગામના સરપંચ બળદેવ ચૌધરી પણ ઉત્સાહમાં આવી ગયા હતા અને સરકારની સામે પ્રાથમિક જરૂરિયાતોના અભાવને મુદ્દે  બોલવા લાગ્યા હતા. બંને સરપંચો દ્વારા હિમંતભર્યુ વર્તન દાખવી સમારોહમાં ખાસ કરીને ભાજપના નેતાઓની શાખ જાણે દાવ પર લગાવી હતી, તેથી અન્ય સરપંચો પણ આવેશમાં આવી કોઇ બફાટ ના કરી બેસે તે માટે આ બંને સરપંચને ભાજપના સ્થાનિક આગેવાનોએ બોલતા અટકાવ્યા હતા અને યેનકેન પ્રકારે તેમને કાર્યક્રમ સ્થળની બહાર લઇ જવાયા હતા. જો કે, બંને સરપંચ સાથેના આ પ્રકારના વ્યવહારના કારણે બીજા સરપંચોમાં નારાજગીની લાગણી ફેલાઇ હતી. સરકાર સામે બોલવાની હિમંત કરનાર સરપંચ દિપકભાઇ સોંદરવાએ સરપંચોને ઓળખકાર્ડ, સુવિધા આપવા સહિતના અનેકવિધ મુદ્દાઓ પર માંગણીઓ પણ કરી હતી. જેથી ભાજપના આ ફરી યોજાયેલા સરપંચ અભિવાદન સમારોહને લઇ બીજો કોઇ વિવાદ સર્જાય તે પહેલાં આ બંને સરપંચને ત્યાંથી બહાર લઇ જવાયા હતા. ભાજપના ઘણા પ્રયાસો છતાં આજે વિવાદ તો સર્જાયો જ હતો.

(8:27 pm IST)