Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ક્રાઇમ બ્રાન્ચ જુનૈદને તપાસ માટે અમદાવાદ લાવી શકે છે

અમદાવાદના સીરીયલ બ્લાસ્ટ કેસની તપાસ માટે : દિલ્હી પોલીસની તપાસ પરિપૂર્ણ થયા બાદ જ ક્રાઇમબ્રાંચ અહીંના કેસની તપાસની તજવીજ હાથ ધરે તેવી સંભાવના

અમદાવાદ,તા. ૧૪ : દિલ્હીના ચકચારભર્યા બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ફરાર થયેલો અને ૨૦૦૮માં અમદાવાદ શહેરના સીરીયલ બોંબ બ્લાસ્ટમાં સંડોવણી ધરાવતાં કુખ્તાત આંતકી જુનૈદ ઉર્ફે આરીજની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. થોડા સમય પહેલાં દિલ્હીની સ્પેશ્યલ સેલ પોલીસે બહુ મહત્વના આરોપી અબ્દુલ સુભાન કુરેશીને ઝડપી લેવાની સફળતા મેળવી હતી, ત્યારપછી દિલ્હી પોલીસની આ બીજી સફળતા છે. આંતકી જુનૈદ ઉર્ફે આરીઝ અમદાવાદ શહેરના સીરીયલ બોંબ બ્લાસ્ટમાં સંડોવાયેલો હોઇ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા પણ દિલ્હી પોલીસની તપાસ પૂરી થયે તેને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી પૂરી શકયતા છે. મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢનો રહેવાસી એવો આંતકી ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ૨૦૦૮માં દિલ્હીના જામીયા વિસ્તારમાં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર પ્રકરણમાં બે આંતકવાદી માર્યા ગયા હતા, જયારે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના ઇન્સ્પેકટર મદનલાલ શર્મા શહીદ થયા હતા. એ વખતે ઘટનાસ્થળે એકઠી થયેલી બહુ મોટી ભીડમાં લાભ લઇને આંતકવાદી જુનૈદ ભાગી ગયો હોવાનું મનાઇ રહ્યું છે. બાટલા હાઉસ એન્કાન્ટર બાદ જુનૈદ ફરાર હતો, તેની સંડોવણી અમદાવાદ શહેરના સીરીયલ બોંબ બ્લાસ્ટ ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, જયપુરના અન્ય બ્લાસ્ટના આંતકવાદી હુમલામાં બહાર આવી હતી, જેને પગલે પોલીસ તેને ઘણા વર્ષોથી શોધી રહી હતી. એનઆઇએએ તેના પર રૂ.દસ લાખનું ઇનામ જાહેર કરેલું હતુ તો દિલ્હી પોલીસે પણ તેના માથે પાંચ લાખનું ઇનામ જાહેર કર્યું હતું, આમ જુનૈદના માથે કુલ રૂ.૧૫ લાખનું ઇનામ જાહેર થયેલું હતું. બાટલા હાઉસ એન્કાઉન્ટર પાછળનું કારણ એ હતું કે, ગત તા.૧૩-૯-૨૦૦૮ના રોજ દિલ્હીમાં સીરીયલ બ્લાસ્ટ થયા હતા અને તેમાં નિર્દોષ ૨૬ લોકોના મોત નીપજયા હતા, જયારે ૮૦થી વધુ ઘાયલ થયા હતા. બ્લાસ્ટની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને ઇનપુટ્સ મળ્યા હતા કે, સીરીયલ બ્લાસ્ટ સાથે જોડાયેલા કેટલાક આંતકીઓ બાટલા હાઉસ વિસ્તારમાં મકાન નંબર એલ-૧૮માં છુપાયા છે, તેથી સ્પેશ્યલ સેલના અધિકારીઓએ આ મકાન પર અચાનક જ ભારે ગુપ્તતાપૂર્વક દરોડા પાડયા હતા. જે દરમ્યાન ફલેટમાંથી આંતકવાદીઓએ પોલીસ પર ફાયરીંગ કર્યું હતું, જેમાં ઇન્સ્પેકટર મદનલાલ શર્મા શહીદ થયા હતા. જો કે, જવાબી કાર્યવાહીમાં બે આંતકવાદી પણ ઠાર મરાયા હતા, જયારે એક આંતકવાદી ફરાર થઇ ગયો હતો તે આ જુનૈદ જ હોવાનું મનાય છે. આ આંતકવાદીની દિલ્હી પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ શહેરના સીરીયલ બ્લાસ્ટ કેસની તપાસ માટે આગામી દિવસોમાં તેને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ તપાસ માટે લાવે તેવી પણ શકયતા સેવાઇ રહી છે.

(7:34 pm IST)