News of Wednesday, 13th January 2021
અમદાવાદ: નવરંગપુરા સીજી રોડ પર આવેલી IDBI બેંકના લોકરમાંથી રૂ.16 લાખની મત્તાના દાગીનાની ચોરી 11 મહિના અગાઉ થઈ હતી. ચોરીના આ ગંભીર બનાવ અંગે પોલીસે જાણવાજોગ નોંધ આધારે તપાસ ચાલુ રાખી મંગળવારે બપોરે ફરિયાદ નોંધી છે.
જોકે બેંકના લોકરમાંથી ગ્રાહકના રૂ.16 લાખની કિંમતના દાગીના ગાયબ થઈ ગયા બાદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં 11 મહિના સુધી રાહ જોઈ તે બાબત શંકાસ્પદ લાગી રહી છે. આ સમગ્ર મામલે બેંકના જ કર્મચારીની સંડોવણી હોવાની શંકા ફરિયાદમાં વ્યક્ત કરાઈ છે.
સોલાના સાયન્સ સીટી રોડ પર ફ્લોરેન્સ રેસિડન્સીમા રહેતા પ્રીતીબેન ઉપાધ્યાય (ઉં,40)નાઓ બોપલ ખાતેની એલ.પી ઇન્ટ.પ્રો.પ્રા.લી. કંપનીમાં પીઆર મેનેજર તરીકે ફરજ બજાવે છે.
પ્રીતીબેનના પતિ પ્રણવભાઈ પટેલનું ગત તા.3-6-2020ના રોજ કુદરતી રીતે મરણ ગયેલ છે. પ્રીતીબેનના પરિવારમાં 11 વર્ષની પુત્રી અને વૃધ્ધ સાસુ-સસરા છે.
પ્રીતીબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓએ 2008ની સાલમાં નવરંગપુરા સીજી રોડ પરની IDBI બેંકમાં 520 નંબરથી લોકર ખોલાવ્યું હતું. જેનો કેબિનેટ નંબર એસ-12 અને ચાવી નંબર 538 હતો. ગત તા.13-2-2020ના રોજ પ્રીતીબેન તેઓની પ્રહલાદનગર કોમર્સ હાઉસ-4 ખાતે આવેલી મેટ્રીકા મોડ્યુલર સોલ્યુશનની ઓફિસે હાજર હતા. તે સમયે તેમના ફોન પર IDBI બેંકમાંથી કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે બેંકમાં અઘટિત બન્યાનું જણાવી કહ્યું કે, કોઈ બહેન તમારી સાથે વાત કરવા માંગે છે.
અજાણી મહિલાએ વાતચીત દરમિયાન પોતાનું નામ દેવાંશી દોશી જણાવ્યું હતું. હું સારા ઘરની અને NIR છું. તમારા લોકરમાં ચોરી થઈ છે. લોકરમાં ભગવાનની છબી અને સો રૂપિયા છે. આ અંગે બેંક મેનેજર સાથે વાત કરતા તેઓએ રૂબરૂ આવો તો વાત કરીએ તેવો જવાબ આપ્યો હતો.
આથી ગત તા.15-2-2020ના રોજ પ્રીતીબેન બેંકમાં જઇ લોકર ઇન્ચાર્જ નિતાબેનને મળ્યા હતા. લોકરમાં જોયું તો માતાજીનો ફોટો અને રૂ.101 રોકડ હતી. લોકરમાંથી સોનાના દાગીના બંગડીઓ, ચેઇન, લક્કી, બ્રેસ્લેટ, વીંટી, પેન્ડલ, લગડી, બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, ચાંદીના ઝુડા અને ચાંદીના સિક્કા મળી રૂ.16 લાખની મતાની ચોરી થઈ હતી. બેંક મેનેજર અને લોક ઇન્ચાર્જ સાથે વાત કરી પ્રીતીબહેને લોકરને સીલ મરાવ્યું અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની જાણવા જોગ નોંધ આપી હતી.
વૃદ્ધ સાસુ,સસરા અને 11 વર્ષની પુત્રીને એકલા મૂકી આવી શકે તેમ ના હોઈ પ્રીતીબેને જે-તે સમયે ફરિયાદ આપી ન હતી. આ દરમિયાન આ ઘટના બન્યાના 11 માસ બાદ મંગળવારે બપોરે નવરંગપુરા પોલીસે પ્રીતીબેનની ફરિયાદ આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બેંના કોઈ માહિતગાર કર્મચારીએ ચોરી કર્યાની શંકા વ્યક્ત કરાઈ છે.