Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કોરોનાના કપરાકાળ વચ્ચે વેક્સીનના આગમનથી રાજ્યમાં અજંપાભરી સ્થિતીના અંતનો આરંભ થયો છે: ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા

કોરોના સામે રક્ષણ આપવા વેક્સીન ચોક્કસ મળી છે પરંતુ કોરોના સામે લડવા ચોકસાઇ પણ એટલી જ જરૂરી

અમદાવાદ :ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે કોરોનાના કપરાકાળની અજંપાભરી સ્થિતીમાંથી નાગરિકોને બહાર લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસો થકી વેક્સીનને મળેલી મંજૂરી બાદ રાજ્યમાં રસીના આગમનથી આ અજંપાભરી સ્થિતિના અંતનો હવે આરંભ થયો છે.કોરોના સામે વેક્સીનના માધ્યમ દ્વારા રાહત ચોક્કસ મળી છે. પરંતુ કોરોનાની લડાઇ સામે ચોકસાઇ પણ એટલી જ જરૂરી છે તો જ કોરોના હારશે ગુજરાત જીતશે.
  ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ ઉમેર્યુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્ષ્ટિપૂર્ણ આયોજન-નેતૃત્વના પરિણામે દેશના સર્વશ્રેષ્ઠ તબીબો –વૈજ્ઞાનિકો દ્વારા માનવજીવન બચાવવા માટે યોગ્ય ચકાસણીને અંતે ઉત્તમ વેક્સીન પ્રાપ્ત થઇ છે જે નાગરિકોને કોરોના સામે રક્ષિત કરવામાં ચોક્કસ ઉપયોગી નીવડશે.
  મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે રાજ્યમાં ૧૯મી માર્ચ ૨૦૨૦ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી ૧૦ મહિના દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે,  સંક્રમીત નાગરિકોને તાકિદે ગુણવત્તાલક્ષી પૂરતી તબીબી સારવાર મળે, મૃત્યુદર ઘટે, રિકવરી રેટ વધે એ માટે રાજ્યના વહીવટી તંત્રએ કરેલ અસરકારક કામગીરીના પરિણામે કોરોનાનું રાજ્યમાં સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે.
  તેમણે ઉમેર્યુ કે દેશભરમાં આગામી ૧૬મી જાન્યુઆરીથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને વેક્સીન આપવાની છે તે સંદર્ભે વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી જે માર્ગદર્શન અપાયુ છે તે મુજબ ગુજરાતમાં સંપૂર્ણ આયોજન કરી દેવાયુ છે. આજે અમદાવાદ એરપોર્ટ ખાતે પૂનાથી કોરોનાની વેક્સીન આવી પહોંચી તે ઐતિહાસિક ઘટના પુરવાર થશે. આ વેક્સીનને વિવિધ સ્થળોએ પહોંચાડવા માટે યોગ્ય તાપમાન જળવાઇ રહે એ માટે ગ્રીન કોરિડોર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ વિભાગે રસીના જથ્થાને સમયસર નિયતસ્થળે પહોંચાડીને ઉત્તમ કામગીરી કરી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

(9:19 am IST)