Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

નર્મદા જિલ્લાના રાજપરા ગામના પ્રગતિશીલ ખેડૂતે છાણીયુ ખાતર બનાવીને નફાકારક ઓર્ગેનિક ખેતી કરીને અન્ય માટે કરી પ્રેરણારૂમ કામગીરી

નર્મદા :ખેતીને માત્ર ખેતી જ નહિ, પણ વ્યવસાયની દ્રષ્ટિ રાખીને કરવામાં આવે તો તે વ્યવસાય સારો નફો કમાઈ ને આપે છે. આ વાત સાબિત કરી છે નર્મદા જિલ્લાના રાજપરા ગામના એક પ્રગતિશીલ ખેડૂત નરપતસિંહ નીઓરિયાએ. જેઓએ ખેતીમાંથી નીકળતા નકામા ઘાસચારામાંથી પશુપાલન અને પશુપાલનના મળમૂત્રમાંથી છાણીયું ખાતર બનાવીને વધુ નફાકારક ઓર્ગેનિક ખેતી કરી છે. આમ, વર્ષે દહાડે લાખોની કમાણી કરતા આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ અનુકરણીય છે. તેઓએ સરકારની 12 પશુ યોજના હેઠળ એક તબેલો બનાવી દૂધમાંથી અઢળક કમાણી કરી છે. તેમજ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

આમ તો માત્ર ખેતી કરી ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા અન્ય ખેડૂતો માટે નર્મદા જિલ્લાના રાજપરા ગામના પ્રગતિશીલ ખેડૂત નરપતસિંહ નીઓરિયા ઉદાહરણ રૂપ છે. કેમકે તેઓ ખેતી તો કરે છે, પરંતુ ખેતીની સાથે સાથે પશુપાલન કરી ગાય અને ભેંસો રાખી દૂધ ઉત્પાદન દ્વારા તો નાણાં કમાય છે. આ ઉપરાંત પશુઓના મળમૂત્રમાંથી છાણિયું ખાતર બનાવી ખેતીમાં પણ બમણી આવક મેળવે છે. તેમજ જમીન પણ ફળદ્રુપ રાખે છે. શરૂઆતમાં માત્ર 6 પ્રાણીથી પશુપાલનની શરૂઆત કરી હતી. આ ખેડૂત પાસે આજે સરકારની 12 પશુ યોજના હેઠળ 50થી વધુ દૂધાળા પશુ છે અને દર માસે 1500 લીટર દૂધની સાથે સાથે તેઓ દર માસે 30 ટ્રેક્ટર જેટલું ખાતર પણ ઉત્પાદિત કરે છે. વિલાયતી ખાતર બંધ કરી તેઓ હવે માત્ર છાણીયા ખાતર દ્વ્રારા જ ખેતી કરવા માંગે છે. તેઓ મને છે કે, વિલાયતી ખાતર દ્વારા ખેતીની જમીન બગડી જાય છે. વળી તેઓ ખેતીમાં જે પાક લે છે તેમાં બાર મહીને નાણાં મળે છે. પરંતુ દૂધ ઉત્પાદનના નાણાં દસ દિવસમાં જ મળી જાય છે. આમ, તેમની આર્થિક સ્થિતિ પણ સુધરી છે અને લગભગ 30 માણસોને તેઓ રોજગાર પણ આપે છે. તેઓ અન્ય ખેડૂતોને પણ આ દૂધ ઉત્પાદનમાં આવવા પ્રેરણા આપે છે અને દૂધ ઉત્પાદન વધુ મેળવવા શું કરવું જોઈએ તે પણ સમજાવે છે

નાનકડા એવા આ ગામમાં સ્થાનિક દૂધ મંડળી છે અને આ દૂધ મંડળી દ્વારા દૂધ ભરૂચમાં મોકલવામાં આવે છે. ત્યારે આ બંને દૂધ ઉત્પાદક મંડળીના પદાધિકારીઓ આ પ્રગતિશીલ ખેડૂતના દૂધ ઉત્પાદનની સરાહના કરે છે. આ પ્રગતિશીલ ખેડૂતમાંથી પ્રેરણા લઇ આજ પ્રમાણેનું દૂધ ઉત્પાદન જિલ્લામાં વધુ દૂધ ઉત્પાદન ઉત્પાદન થાય તેમ ઈચ્છી રહ્યા છે. કેમકે જિલ્લામાં આવેલ દૂધ ધારા ડેરીના પશુ દાણ મારફતે આ ખેડૂત પશુઓને સારા પ્રકારનું દાણ ખવડાવે છે અને જેથી પશુઓ સારા પ્રમાણમાં દૂધ આપી રહ્યા છે. જેથી સરકાર યોજનાઓ સાથે દૂધ ધારા ડેરી પણ ખેડૂતોના ઉત્થાનમાં સહભાગી બની રહી છે. સરકારની 12 દૂધાળા પશુ યોજના દરેક ખેડૂતો માટે લાભદાયી છે અને તેનો લાભ લેવા પણ દૂધ ધારા ડેરી અપીલ કરે છે.

સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને આ પ્રગતિશીલ ખેડૂત નરપતસિંહ નીઓરિયાએ વિવિધ સરકારી પ્રમાણપત્રો અને શિલ્ડ પણ મેળવ્યા છે. તેમની જેમ નર્મદા જિલ્લાના અન્ય ખેડૂતો પણ આ પશુપાલકથી પ્રેરાઈને આ પશુપાલનના વ્યવસાય અપનાવવા તરફ વળ્યાં છે.

(5:24 pm IST)