News of Friday, 13th December 2019
અમદાવાદ, તા.૧૩ : નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી ડીપીએસ(ઈસ્ટ)ની ખોટી એનઓસી મામલે ડીપીએસના સીઇઓ મંજુલા પૂજા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સીપાલ અનિતા દુઆએ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી આગોતરા જામીન અરજીમાં હાઇકોર્ટે આજે ત્રણેય આરોપીઓને તા.૭મી જાન્યુઆરી સુધી તેઓની ધરપકડ કરવા સામે સ્ટે જારી કરી વચગાળાની મોટી રાહત આપી છે. અગાઉ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિત દુઆની આગોતરા જામીન ફગાવી દેતાં ત્રણેય આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં હાઇકોર્ટે આજે સુનાવણી બાદ આ રાહત આપી હતી. કેસની વધુ સુનાવણી તા.૭ જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ડીપીએસ સ્કૂલના પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત, સંચાલક મંજુલા પૂજા શ્રોફ અને પૂર્વ પ્રિન્સીપાલ અનિતા દુઆએ કરેલી આગોતરા જામીન અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારોને પ્રસ્તુત કેસમાં ખોટી રીતે સંડોવણી કરી દેવાયા છે, વાસ્તવમાં તેમની સામે કોઇ પ્રથદર્શનીય ગુનો બનતો નથી કે, નક્કર પુરાવા પણ નથી. અરજદારો સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ છે.
તેમની મિલકતો પણ અમદાવાદમાં છે, તેઓ તપાસમાં પૂરો સહકાર આપી રહ્યા છે. તેઓ કયાંય ભાગી નાસી જાય તેમ નથી ત્યારે હાઇકોર્ટે તેઓને આગોતરા જામીન આપવા જોઇએ. તેમણે સરકાર સાથે કોઇ બનાવટ કરી નથી. તેમની સામે ખોટા આક્ષેપ કરાઇ રહ્યા છે. તેમને આગોતરા જામીન મળે તો તેઓ પોતાનો બિઝનેસ છોડીને ક્યાંય જવાના નથી. અરજદારપક્ષની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે તા.૭મી જાન્યુઆરી સુધી મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆની ધરપકડ નહી કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી અને તેઓને વચગાળાની રાહત આપી હતી. અગાઉ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ ત્રણેય આરોપીઓની આગોતરા જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે સીબીએસઈ બોર્ડે ડીપીએસ ઈસ્ટની માન્યતા રદ કરી છે. તેમજ ખોટા દસ્તાવેજો ઉભા કરી સ્કૂલની મંજૂરી મેળવવાના આરોપસર ડીપીએસ ઈસ્ટના સીઈઓ મંજુલા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સીપાલ અનિતા દુઆ સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો હતો, જેને પગલે ઉપરોકત અરજદારોએ આગોતરા જામીન અરજી દાખલ કરી હતી અને ધરપકડ સામે રાહત માંગી હતી.