Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

વસ્ત્રાલ : બોથડ પદાર્થના ઘા ઝીંકીને કરપીણ હત્યા

બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર

અમદાવાદ,તા.૧૩ : શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વસ્ત્રાલ આરટીઓ નજીક એક યુવકના માથામાં બે અજાણ્યા શખ્સોએ માથામાં બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર બનાવ અંગે રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચકચાર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.  આ બનાવની વિગત એવી છે કે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વસ્ત્રાલ આરટીઓ નજીક આવેલી વિનાયક સોસાયટી ખાતે રહેતા હીરાલાલ ખટીક ગઇકાલે મોડી રાત્રે સ્થાનિક ઇઁડાની લારી પાસે બેઠો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ કોઇક મુદ્દે તેની સાથે બબાલ કરી હતી અને આ બબાલ દરમ્યાન બંને શખ્સો દ્વારા હીરાલાલને માથામાં બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, હીરાલાલ મજૂરી કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આરોપીઓએ કયા કારણથી તેની હત્યા કરી તે મુદ્દે પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસે હીરાલાલની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી હતી અને આ બનાવ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ  આદરી છે. બનાવને લઇ   ચકચાર મચી ગઇ હતી.

(7:41 pm IST)