Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

રાજ્યના વીજ ગ્રાહકોને મોંઘવારીનો વધુ એક લાગશે કરંટ :હવે લાઈટ બિલમાં થશે વધારો

વીજ પુરવઠો આપવા દર ત્રણ મહિને કરવો પડતો સંપૂર્ણ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલાશે : વર્ષમાં ચાર વાર વીજદરના વધારાનો બોજ ગુજરાતના 1.3 કરોડ ગ્રાહકો પર પડશે.

અમદાવાદ :વીજ વિતરણ કંપનીઓને વીજ પુરવઠો આપવા માટે દર ત્રણ મહિને કરવો પડતો સંપૂર્ણ ખર્ચ ગ્રાહક પાસેથી વસૂલી લેવાની કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે દરેક રાજ્ય સરકારોને મંજૂરી આપી દીધી છે.

ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ કોલસા સહિતના ઇંધણના ભાવમાં તથા ખાનગી કંપનીઓ પાસેથી મોંઘાભાવે ખરીદવી પડેલી વીજળીને કારણે તેમની પડતર કિંમતમાં થયેલા વધારો તે પછીના ત્રિમાસિક ગાળામાં વસૂલી લેવાની છૂટ આપવામાં આવી છે.

હવે દર જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર એમ વર્ષમાં ચાર વાર વીજદરના વધારાનો બોજ ગુજરાતના 1.3 કરોડ ગ્રાહકો પર પડશે. ખાનગી કંપનીઓના વીજ ગ્રાહકોને પણ આ જ જોગવાઈ લાગુ પડશે.

મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આપવામાં આવેલા નવા આદેશ મુજબ વીજજોડાણ ધરાવતા ગ્રાહકોએ વીજ વિતરણ કંપનીને વીજળીનો પુરવઠો આપવા માટે જે ખર્ચ કરવો પડે છે તે સંપૂર્ણ ખર્ચ ગ્રાહકોએ તે પછીના જ ત્રિમાસિક ગાળાથી ચૂકવવો પડશે. તેમાં ફ્યુઅલ પ્રાઈસ અને પાવર પરચેઝ કોસ્ટને પણ સમાવેશ થઈ જાય છે.

અત્યારે પાવર પરચેઝ કોસ્ટમાં દર ત્રણ મહિને સુધારો કરાય છે. વીજ વિતરણ કંપનીઓ ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ દર ત્રણ મહિને વીજ દરમાં યુનિટદીઠ દસ પૈસાનો વધારો કરવાની છૂટ ધરાવે છે.

યુનિટે દસ પૈસાથી વધુ રકમનો વધારો કરવાનો હોય તો તેને માટે વીજ નિયમન પંચ પાસેથી મંજૂરી લેવાની થાય છે. કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરના નવા પરિપત્રને પરિણામે ગુજરાત વીજ નિયમન પંચ પાસેથી વીજદરમાં વધારો કરવાની આગોતરી મંજૂરી હવે વીજ વિતરણ કંપનીઓએ લેવી પડશે નહીં.

હાલની સિસ્ટમમાં એન્યુઅલ રેવન્યુ રિક્વાયરમેન્ટની આખી દરખાસ્ત રજૂ કરીને તેના પર વીજ નિયમન પંચ સમક્ષ ગ્રાહકોના પ્રતિનિધિઓનો અભિપ્રાય કે તેમની રજૂઆતોને સાંભળીને વીજદરમાં વધારો આપવામાં આવતો હતો. આ પ્રક્રિયા હવે વર્ષમાં એક વાર ઔપચારિક રીતે જ કરવામાં આવશે.

ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરી આપવામાં આવતા નવા વીજદર નાણાંકીય વર્ષની પહેલી એપ્રિલથી 31મી માર્ચના બાર માસના ગાળા માટે અમલમાં રહેતા હતા. તેમાં દર ત્રણ મહિને દસ દસ પૈસા એફપીપીપીએની ફોર્મ્યુલા મુજબ વીજવિતરણ કંપનીઓ વધારી શકતી હતી. તેનાથી વધુ રકમનો વધારો કરવા માટે હવે મંજૂરી લેવાની રહેશે નહીં. સંપૂર્ણ રકમ વીજ વિતરણ કંપનીઓ પોતે જ પોતાની રીતે નક્કી કરીને લાગુ કરી શકશે.

(9:14 pm IST)