Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

સુરતમાં બીઆરટીએસ બસે અડફેટે લેતા યુવાનનું કરૂણમોત :રોષે ભરાયેલ લોકો દ્વારા બસમાં તોડફોડ

પર્વત પાટિયા સરદાર માર્કેટ પાસે બનાવ : બસ પર પથ્થરમારો કરી તોડફોડ : બસચાલક ભાગી ગયો

સુરતના પર્વત પાટિયા સરદાર માર્કેટ પાસેથી એક યુવાન બીઆરટીએસ કોરિડોર ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતી સિટી બસ ચાલકે આ યુવાનને અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. યુવાનનું મોત થતા જ સ્થાનિક લોકોએ સિટી બસ પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. આ દરમિયાન સિટી બસમાં સવાર મુસાફરો તથા બસચાલકે પોતાનો જીવ બચાવી ભાગી છૂટ્યા હતા. 

   ઘટનાની જાણ થતાની સાથે જ પુણા પોલીસ તેમજ ઉપરી અધિકારીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો. પુણા પોલીસે મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ પીએમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે બીજી તરફ, પોલીસે બસ ચાલક અને બસમાં તોડફોડ કરનાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂ કરી હતી

  અત્રે  ઉલ્લેખનીય છે કે, સિટી બસ દ્વારા અકસ્માતોની સંખ્યા અવારનવાર સામે આવતી હોય છે. તેમ છતાં સુરત મહાનગરપાલિકા આ અકસ્માત ઉપર કાબૂ મેળવી શકી નથી. જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(9:00 pm IST)