Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

દેવ દિવાળીએ વિરમગામનુ ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠ્યું

શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિરને રોશનીથી શણગારાયુ : વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા 1111 દિવાઓ પ્રજ્વલિત કરાયા

વિરમગામ :  અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલા ઐતિહાસિક મુનસર તળાવ ફરતે શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળ દ્વારા દેવ દિવાળીના પાવન દિવસે 1111 દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દેવ દિવાળીએ 1111  દિવડાઓથી મુનસર તળાવ ઝળહળી ઉઠ્યું હતું.

  આ ઉપરાંત  શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિરને પણ રોશનીથી શણગારવામાં આવ્યું હતુ. દિવાની રોશની થી ઝળહળતા મુનસર તળાવ ને નિહાળવા શહેરીજનો ઉપરાંત બહારગામથી મોટી સંખ્યામાં લોકો  ઉમટી પડ્યા હતા. લોકોએ ઝળહળતા મુનસર તળાવની તસવીરો મોબાઇલમાં લીધી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક મુનસર તળાવ ની ફરતે 360 થી વઘુ શિવલિંગ સ્થાપિત દેરીઓ (મંદિરો) હતી જ્યાં એક સાથે સાંકળ થી ઘંટનાદ થતો હતો. દરવર્ષે દેવદિવાળીના દિવસે મોડી સાંજે થી ઐતિહાસિક મુનસર તળાવ ફરતે દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે અને સમગ્ર વાતાવરણ આહલાદક બની જાય છે.

(8:49 pm IST)