Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અમદાવાદ સહિત રાજ્યભરમાં છઠ મહાપર્વની ઉજવણી કરાઈ

મુખ્યમંત્રી રૂપાણી સાબરમતી નદીના કિનારે ઉજવણીમાં જોડાયા : સાબરમતી નદીના કિનારા ઉપર મહાપર્વની ઉજવણીનો દોર સાંજે શરૂ થયા બાદ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા : અન્ય પ્રધાનો સાથે ખાસ પૂજા

અમદાવાદ, તા. ૧૩ : મદાવાદ શહેરની સાથે સાથે રાજ્યભરમાં પણ આજે છઠ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમના કેબિનેટ સાથીઓની સાથે પૂજામાં જોડાયા હતા. સાબરમતી નદીના કિનારે પૂજા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ઉમટી પડ્યા હતા. રૂપાણીની સાથે સાથે પૂજામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મહેસુલમંત્રી કૌશિક પટેલ, અમદાવાદના મેયર બીજલ પટેલ પણ જોડાયા હતા. બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં દિવાળી બાદ છઠ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. આ વખતે પહેલાથી જ જોરદાર તૈયારી કરવામાં આવી હતી. ઇન્દિરા બ્રિજ નજીક જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી નદીના કિનારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના મૂળ નિવાસી લોકોના લોકઆસ્થાના મહાપર્વ છઠને લઇને હાંસોલ સ્થિત ઇન્દિરા બ્રિજ નીચે જોરદાર તૈયારી કરવામાં આવી હતી.

આજે સાંજે આની ઉજવણી છ વાગ્યા પછી શરૂ થઇ હતી. છઠ મહાપર્વને ધ્યાનમાં લઇને છઠ મહાપર્વ સમન્વય સંઘના અમદાવાદના અધ્યક્ષ મહાદેવ ઝા અને ઉપાધ્યક્ષ કનૈયા પાઠકના નેતૃત્વમાં હાંસોલ સ્થિત ઇન્દિરાબ્રિજની નીચે અને છઠ પર્વ સાર્વજનિક ટ્રસ્ટ મેઘાણીનગર તરફથી શાહીબાગ કેન્ટોનમેન્ટ નજીક દશામા મંદિર નજીક સાબરમતી નદી પર તમામ લોકોની સુવિધાના પગલા લેવામાં આવ્યા હતા. મહાદેવ ઝાએ કહ્યું હતું કે, તમામ પ્રકારની તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. અમદાવાદમાં ઇન્દિરાબ્રિજ હાંસોલ પાસે સાબરમતી નદીના કિનારે મહાપર્વની ભવ્ય ઉજવણી સાંજે પાંચ વાગે શરૂ થઇ ગઈ હતી. આ અવસર પર પ્રવાસન વિભાગ તરફથી ૧૧ કરોડની ફાળવણી સાથે તૈયાર કરવામાં આવેલા ૩૦૦ મીટરના છઠ ઘાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપર્વની ઉજવણીમાં જોડાયા હતા. છઠ મહાપર્વના અવસર પર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ચાર દિવસીય મહાપર્વની ઉજવણીના બીજા દિવસે સોમવારના દિવસે વ્રત કરનાર લોકો ખરનાના વ્રતની ઉજવણી કરે છે. સાંજે સૂર્યાસ્ત બાદ સ્નાન કરીને સિવડાવ્યા વિના વસ્ત્રો ધારણ કરે છે. સાથે સાથે ઘરમાં બનાવવામાં ઓલા પૂજા સ્થળને ગંગાજળથી પવિત્ર કરવામાં આવે છે. એજ દિવસે પ્રસાદ બનાવવામાં આવે છે. ત્યારબાદ ૩૬ કલાકના વ્રતની શરૂઆત થાય છે. આજે સાંજે ઉપવાસ કરનાર લોકોએ સૂર્યદેવને અધેર આપે છે. એજ દિવસે એટલે કે આજે સૂર્યને અર્ધ આપ્યા બાદ તેને પોતાના ઘરે લઇ જાય છે અને ઘરને પવિત્ર કરે છે. આવતીકાલે બુધવારે વહેલી સવારે શ્રદ્ધાળુઓ ફરી નદીના કિનારે પહોંચશે અને સ્નાન કરીને સૂર્યને અર્ધ આપશે. આની સાથે જ ચાર દિવસીય છઠ મહોત્સવની પૂર્ણાહૂતિ થશે.

(9:07 pm IST)