Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

પ્રત્યેક જિલ્લામાં સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન : પંડ્યા

સંગઠન પરંપરા મુજબ આ વર્ષે પણ આયોજન : કાર્યકરો હંમેશા સરકાર અને લોકો વચ્ચે સેવાસેતુ બનીને કામ કરી રહ્યા છે : બૂથ જીતીએના સુત્રની સાથે કાર્યક્રમો

અમદાવાદ,તા.૧૨ : ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ભાજપા સંગઠનની પરંપરા મુજબ આ વર્ષે પણ સમગ્ર ગુજરાતના ૩૩ જીલ્લા તથા ૮ મહાનગર એમ કુલ, ૪૧ જીલ્લાઓમાં નવા વર્ષના શુભારંભમાં કાર્યકર્તાઓ સ્નેહમિલન કાર્યક્રમો યોજશે. આ સ્નેહમિલનમાં જે તે જીલ્લાના સંગઠન પ્રભારી, પ્રભારી મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો અને મુખ્ય લોકો ઉપસ્થિત રહેશે. ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, રાજ્યના મંત્રીમંડળના સભ્યો, પ્રદેશ ભાજપાના મહામંત્રીઓ તથા પ્રભારી મંત્રી તથા સંગઠનના અન્ય પ્રભારીઓ, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ વગેરે સંબંધિત જીલ્લાના સ્નેહમિલન સમારંભમાં હાજર રહી માર્ગદર્શન આપશે. પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ભાજપાનો કાર્યકર્તા હંમેશા સરકાર અને લોકો વચ્ચે સેવાસેતૂ બનીને કાર્ય કરે છે. પ્રજાલક્ષી અને સંગઠનલક્ષી કામગીરીને કારણે લોકમન અને લોકમતમાં કાર્યકર્તાઓનું મહત્વનું યોગદાન હોય છે. દર વર્ષે ભાજપા સંગઠન દ્વારા કાર્યકર્તાઓને બિરદાવીને આગામી કાર્યક્રમોની જાણકારી આ સ્નેહ સંમેલનોમાં આપવામાં આવતી હોય છે. આ સ્નેહમિલનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સિધ્ધિઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટિ વગેરે વિડીયો કાર્યકર્તાઓને બતાવવામાં આવશે. આ ઉપરાંત કાર્યકર્તાઓ દ્વારા દેશ, ગુજરાત અને પાર્ટી માટે સંકલ્પ લેવામાં આવશે. તારીખ ૧૧ નવેમ્બર થી શરૂ થઇને તારીખ ૨૨ નવેમ્બર સુધી ચાલનારા જીલ્લા સ્નેહમિલનોમાં કાર્યકર્તાઓને ચાલો બૂથ જીતીએ, લોકસભા જીતીએના સુત્ર સાથે મારું બૂથ, મજબૂત બૂથ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાત વિરોધી અપપ્રચાર, વેરઝેર અને અશાંતિ ફેલાવવાના પ્રયાસોને ગુજરાતની જનતાએ નિષ્ફળ બનાવ્યા છે ત્યારે ગુજરાતની શાંતિ એકતા વિકાસમાં વધુ યોગદાન આપવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણી નૂતન વર્ષ સ્નેહમિલનમાં તારીખ ૧૧ નવે.ના રોજ તાપી જીલ્લા, તારીખ ૧૪ના રોજ ભાવનગર જીલ્લો તથા ભાવનગર શહેર, તારીખ ૧૫ ના રોજ મહિસાગર જીલ્લો તેમજ ખેડા જીલ્લો અને તારીખ ૨૨ના રોજ રાજકોટ જીલ્લા ખાતે સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહીને નવા વર્ષના અભિનંદન તથા માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તારીખ ૧૫  નવેમ્બરના રોજ કર્ણાવણી મહાનગર, તારીખ ૧૭ના રોજ રાજકોટ શહેર તથા તારીખ ૧૮ના રોજ મહેસાણા જીલ્લો તથા તારીખ ૧૯ ના રોજ કચ્છ જીલ્લામાં સ્નેહસંમલનમાં ઉપસ્થિત રહીને નૂતન વર્ષની શુભેચ્છા તથા માર્ગદર્શન આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તારીખ ૧૮ નવેમ્બરના રોજ મહેસાણા અને અન્ય જીલ્લાઓમાં જે-તે તારીખે સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી નૂતન વર્ષની શુભેચ્છા તથા માર્ગદર્શન આપશે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા તારીખ ૧૬ નવેમ્બરના રોજ અમરેલી જીલ્લો, તારીખ ૧૭ના રોજ વલસાડ, અને તારીખ ૨૧ના રોજ ગાંધીનગર શહેરમાં સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહી નૂતન વર્ષની શુભેચ્છા તથા માર્ગદર્શન આપશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તારીખ ૧૭ નવેમ્બરના રોજ જામનગર જીલ્લા તથા જામનગર શહેર, તારીખ ૧૮ના રોજ દેવભૂમિ દ્વારકા તથા તારીખ ૨૨ના રોજ રાજકોટ જીલ્લા ખાતે સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહી નૂતન વર્ષની શુભેચ્છા તથા માર્ગદર્શન આપશે. પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તારીખ ૧૧ નવેમ્બરના રોજ બનાસકાંઠા જીલ્લો, તારીખ ૧૩ના રોજ સાબરકાંઠા,  તારીખ ૧૪ના રોજ આણંદ, તારીખ ૧૫ના રોજ કર્ણાવતી મહાનગર, તારીખ ૧૬ના રોજ અરવલ્લી જીલ્લો, તારીખ ૧૭ના રોજ પાટણ જીલ્લો તથા તારીખ ૨૨ના રોજ રાજકોટ જીલ્લામાં યોજાનાર સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી નૂતન વર્ષની શુભેચ્છા તથા માર્ગદર્શન આપશે.

(9:53 am IST)