Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

તારાપુર રેલવે સ્ટેશન નજીક પેટલાદથી આવતા વૃદ્ધનુ ટ્રેનની હડફેટે મોત

તારાપુર : તારાપુર રેલવે સ્ટેશન પર પેટલાદથી આવતા એક વૃદ્ધનું ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતારવા જતા મોત થયું હતું. ટ્રેનની નીચે આવી જતા તેમના શરીરનાં બે ટુકડા થઈ જતાં રેલવે ટ્રેક પર જ મોત નિપજ્યું હતું. પેટલાદ રેલવે પોલીસે લાશનો કબ્જો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પેટલાદમાં ટાવર પાસે રહેતા બાબુભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા (ઉં વ.આશરે ૬૬ વર્ષ) પેટલાદ થી તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દવા લેવા માટે આવતા હતા. મંગળવારે સવારે સાડા આઠ વાગ્યાનાં અરસામાં તેઓ ટ્રેનથી તારાપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે બાબુભાઈ ચાલુ ટ્રેન માંથી ઉતારવા ગયા હતા. તે સમયે  ટ્રેન નીચે આવી જતા શરીરનાં બે ટુકડા થઈ ગયા હતા.બે ટુકડા થયેલ મૃતદેહ ને ટ્રેક પર થી બહાર કાઢવામાં આવ્યો હતો. 

પેટલાદ રેલવે પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઈ તારાપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં તારાપુર પહોંચેલા તેમના કુટુંબીજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. પેટલાદ રેલવે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:49 pm IST)