Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

સાબરકાંઠા-સુરત દુષ્કર્મ કેસ માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના

વિવાદ બાદ સરકાર દ્વારા અતિમહત્વનો નિર્ણય : સાબરકાંઠાના એક, સુરતના બે દુષ્કર્મ કેસ માટે ફાસ્ટટ્રેક કોર્ટ માટે ફાસ્ટટ્રેક જજની પણ નિમણૂંક કરવામાં આવી

અમદાવાદ,તા.૧૨ : રાજયના સાબરકાંઠાના ઢુંઢરના એક દુષ્કર્મ કેસ અને સુરતમાં નાની બાળાઓ પર દુષ્કર્મના બે કેસો માટે આખરે ભારે વિવાદ અને રાજયવ્પાયી ચકચાર બાદ આખરે રાજય સરકાર દ્વારા આરોપીઓને તાત્કાલિક સજા કરાવવા અને પીડિત પરિવારોને ઝડપી ન્યાય અપાવવાના હેતુસર ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી છે. એટલું જ નહી, આ ત્રણેય સંવેદનશીલ અને ચકચારભર્યા કેસોના ઝડપી ટ્રાયલ ચલાવવા ખાસ ફાસ્ટટ્રેક જજની નિમણૂંક પણ કરી દેવામાં આવી છે. ઉપરોકત દુષ્કર્મ કેસોની ગંભીરતા ધ્યાને લઇ ગુજરાત હાઇકોર્ટે આ મામલે જારી કરેલા જાહેરનામા અનુસાર, સાબરકાંઠાની ઘટનામાં ફાસ્ટટ્રેક કોર્ટ જજ તરીકે સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ કે.બી.ગુજરાથી અને સુરતના બે દુષ્કર્મ કેસોમાં ફાસ્ટટ્રેક જજ તરીકે સુરત જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.કે.દેસાઇની નિમણૂંક કરવામાં આવી છે. સાબરકાંઠા અને સુરતના દુષ્કર્મ કેસોમાં ઝડપી સુનાવણી અને ગુનેગારોને સખતમાં સખત સજા કરાવવા માટે પીડિત પરિવારો પ્રત્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી તાત્કાલિક અસરથી ખાસ કિસ્સામાં ફાસ્ટટ્રેક કોર્ટની રચના માટેનો નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, રાજય સરકાર દુષ્કર્મનો ભોગ બનેલી દિકરીઓના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સંવેદના સાથે પડખે ઉભી છે અને ગુનેગારોને કાયદા અનુસાર કડક સજા થાય તથા પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કટિબધ્ધ છે. બીજીબાજુ, રાજય સરકાર દ્વારા આ ત્રણ દુષ્કર્મ કેસો માટે તાત્કાલિક અસરથી ફાસ્ટટ્રેક કોર્ટની અને ફાસ્ટટ્રેક જજોની નિમણૂંક કરી દેવાતાં પીડિત પરિવારને હવે ઝડપી અને અસરકારક ન્યાય મળવાની આશા બળવત્તર બની છે.

(8:20 pm IST)