Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

નવ ઔદ્યોગિક વસાહતોના નિર્માણ માટે જમીન અપાઈ

૧૦૫૦.૩૨ હેક્ટર જમીનની ફાળવણી કરાઈઃ ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન

અમદાવાદ,તા.૧૨: મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને ઘરઆંગણે રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે. ઉદ્યોગકારોને પણ જરૂરીયાત મુજબનું માનવબળ મળી રહે તે માટે રાજ્યમાં નવી ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓ પણ કાર્યરત કરી છે ત્યારે યુવાનોને રોજગારી પુરી પાડવા રાજ્યમાં નવ નવી ઔદ્યોગીક વસાહતોનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારે ૧૦૫૦.૩૦ હેકટર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. મહેસૂલ મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યના પ્રગતિશીલ સરકારના નિર્ણાયક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક વિધ આયોજનો કર્યા છે. જેના પરીણામ સ્વરૂપ ઉપલબ્ધ રોજગારીના કારણે ગુજરાત દેશભરમાં રોજગારી પુરી પાડવામાં મોખરે રહ્યું છે. આજે આ નવી નવ જીઆઈડીસીઓના નિર્માણ થકી વધુ રોજગારી ઉપલબ્ધ બનશે. સાથે સાથે લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે. તેમણે ઉમેર્યું કે, પાટણ જિલ્લાના વાગોસણા ખાતે નિર્માણ થનાર જીઆઈડીસી  માટે ૫૧.૪૬ હેકટર, મહેસાણા જિલ્લાના ઐઠોર માટે ૪૭ હેકટર, આણંદ જિલ્લાના ઈન્દ્રણજ માટે ૪૦.૧૯ હેકટર, રાજકોટ જિલ્લાના ખીરસરા માટે ૯૨.૬૩ હેકટર, મોરબી જિલ્લાના છત્તર માટે ૨૪.૬૯ હેકટર, સુરેન્દ્રનગર જિલ્લાના વણોદ માટે ૩૭૧.૬૦ હેકટર, ભાવનગર જિલ્લાના નવા માઢીયા માટે ૩૦૦ હેકટર તથા નારી માટે ૧૧૫.૨૫ હેકટર અને ગાંધીનગર જિલ્લાના ભાટ ખાતે નિર્માણ થનાર જીઆઈડીસી માટે ૭.૫૦ હેકટર જમીન ફાળવવાનો નિર્ણય કરાયો છે. આ ફાળવવામાં આવનાર જમીન પૈકી ૭૦ ટકા જમીન બજાર કિંમતના ૫૦ ટકા ભાવે તથા બાકીની ૩૦ ટકા જમીન પ્રવર્તમાન બજાર કિંમત અનુસાર જીઆઈડીસીને આપવામાં આવશે. જીઆઈડીસી દ્વારા નાના ઉદ્યોગકારોને નક્કી કરેલ કિંમતના ૫૦ ટકા ભાવે પ્લોટ ફાળવવામાં આવશે.

(10:02 pm IST)