Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

આ..લે..લે..! સાધુ બની ગયેલ પુત્ર પાસે માતા-પિતાઅે ભણતરનું વળતર માંગ્યુઃ ૨૦ લાખો દાવો કર્યો

અમદાવાદઃ શહેરના આમ્બાવાડી વિસ્તારમાં રહેતા શારીરિક રીતે ખોડખાપણ ધરાવતા નિવૃત સરકારી અધિકારી લિલાભાઈ(64) અને તેમના પત્ની ભિખિબેન(62) પોતાના પુત્ર સામે તેના ભણતર પાછળ ખર્ચેલી મરણમૂડી રુ. 20 લાખનું વળતર માંગતો કેસ કર્યો છે. ભણવામાં હોંશિયાર પુત્રને સારી રીતે ભણાવી ગણાવી મોટો કર્યા બાદ માતા-પિતાને આશા હતી કે વૃદ્ધાવસ્થામાં તે તેમના જીવનનો ટેકો બનશે પરંતુ પુત્રએ અચાનક સન્યાસ લઈ લેતા વૃદ્ધ કપલ સોમવારે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી(GSLSA) કે જે રાજ્ય સરકાર દ્વારા ચલાવાતું કાયદાકીય મદદ સેન્ટરમાં ફરિયાદ કરી હતી.

પોતાની ફરિયાદમાં કપલે કહ્યું કે, ‘તેમની પાસે નાણાકીય જવાબદારી છે, જે લીલાભાઈની રૂ. 30,000 સુધીની પેન્શન કરતા વધારે છે. જેથી પોતાના મોટા દીકરાને ભણાવવા માટે જે ખર્ચ કર્યો છે તે રુપિયા સાધુ બનેલા દીકરાએ તેમને પરત કરવા જોઈએ. અમે બંને શારીરિક દિવ્યાંગ છીએ અને નાના દીકરાની માનસિક અવસ્થા યોગ્ય હોવાથી તેની કોઈ સુરક્ષિત આવક આપતી નોકરી નથી. ત્યારે અમારો આધાર એકમાત્ર મોટો પુત્ર હતો. પરંતુ અમે માનીએ છીએ કે સન્યાસ લેવા માટે તેનું બ્રેઇનવોશ્ડ કરવામાં આવ્યું છે. જ્યારે પહેલીવાર તેનો સન્યાસનો નિર્ણય જાણ્યો ત્યારે અમે તેને સમજાવવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો કેમ કે અમને બધુ સમુસુથરું પડવાની આશા હતી

તેમનો મોટો પુત્ર ધર્મેશ ભણવામાં હોંશિયાર હોવાથી માતા પિતાએ તેને ઉચ્ચ અભ્યાસ સુધી ભણાવ્યો હતો. ધર્મેશે દેશની પ્રતિષ્ઠિત ફાર્મા ઇન્સ્ટિટ્યુટ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ(NIPER)માંથી પોતાની માસ્ટર ડિગ્રી મેળવી છે. જે બાદ તેને ટોપની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ખૂબ સારી કહી શકાય તેવી જોબ મળતા કપલે રાહતનો શ્વાસ લીધો હતો કે હવે તેમનો પુત્ર વૃદ્ધવસ્થામાં સહારો બનશે. પરંતુ થોડા સમયમાં ધર્મેશે પોતે સન્યાસ લેવાનો હોવાનું જણાવી એક સંપ્રદાય વિશેષ માટે પોતે સમર્પિત રીતે કામ કરશે તેમ જણાવ્યું હતું.

જે બાદ ઓગસ્ટ મહિનામાં કપલે રાજ્યની લીગલ ઓથોરિટીના હેલ્પ સેન્ટર પાસે પોતાના સાધુ પુત્ર પાસેથી નાણાકિય રીફન્ડના રુપે મદદ મળી રહે તે માટે મદદ માગતી અરજી કરી હતી. લીગલ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ પ્રશ્નના જવાબમાં સાધુ બની ગયેલા ધર્મેશે કહ્યું કે, તે પોતાની ઇચ્છાથી સન્યાસ ગ્રહણ કરીને સાધુ બન્યો છે. તેમજ પોતાને ધાર્મિક ઉન્નતિના માર્ગે જતો રોકવા માટે પોતાના માતા-પિતા વિરુદ્ધ માનસિક હરેસમેન્ટ અને યાતના આપવાનો આરોપ લગાાવ્યો હતો.

GSLSAના કાયદા નિષ્ણાંતોએ કહ્યું કે, ‘ધર્મેશે અમને કહ્યું કે તે હવે સાધુ છે અને પોતાના માતા-પિતાને આર્થિક રીતે સહાય કરવા માટે તેની પાસે કંઈજ નથી. તેની જગ્યાએ પોતાના નાના ભાઈને આધાર બનાવવા માટે તેણે માતા-પિતાને કહ્યું હતું. જોકે અમે બંને પક્ષને વચલો રસ્તો અપનાવવા કહ્યું હતું. જે મુજબ સાધુ બની ગયેલો પુત્ર તેના માતા-પિતાને આર્થિક રુપે મદદરુપ થવા કંઈક ઉપાય કરે અને માતા-પિતા તેના ધાર્મિક ઉન્નતિના માર્ગમાં દખલ આપે સાથે તેના સન્યાસ માટે કોઈ ધર્મ વિશેષ સંસ્થાને જવાબદાર ગણાવે. જ્યારે વધુમાં કપલને સલાહ આપી હતી કે તેઓ ભરણપોષણ માટે કોર્ટમાં પણ જઈ શકે.

(5:23 pm IST)