Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મહેસાણાના રામોસણા સર્કલથી માનવ આશ્રમને જોડતો વિસનગર લીંક રોડ ઉપરનો આંબેડકર બ્રિજ મરણ પથારીએ

મહેસાણા: મહેસાણાના રામોસણા સર્કલથી માનવ આશ્રમને જોડતા વિસનગર લીંકરોડ ઉપરનો આંબેડકર બ્રિજ મરણ પથારીયે પડ્યો છે. બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો રોડની હાલત જોઈ માર્ગ-મકાન વિભાગની કામગીરી સામે આંગળી ચિંધી રહ્યા છે. એકાદ-બે વરસાદના ઝાપટામાં આંબેડકર બ્રિજ હાડપિંજર સમું બની બેઠું છે. આથી વાહનચાલકો ઉપર ભારે વિનાશ સર્જાવાની શક્યતાઓ રહેલી છે.

વિસનગર લીંક રોડ ઉપરનો આંબેડકર બ્રીજ માર્ગ-મકાન વિભાગની જવાબદારી હેઠળ નિર્માણ પામ્યો છે. અંદાજિત 3 વર્ષ અગાઉ પુલનું નિર્માણ થયું છે તેમ છતાં મોટા ખાડા વરસાદ બાદ પડી ગયા છે. અને કેટલીક જગ્યાએ તો પુલની મજબૂતાઈ માટે જરૂરી ખીલાસળી બહાર આવી ગયેલી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં અહીંથી દૈનિક હજારો વાહન ચાલકો અને લોડીંગ વાહનો પણ પસાર થતા હોય છે. ત્યારે પુલની ગુણવત્તા જોતાં ક્યાં સુધી ભાર ખમી શકશે તેવા પ્રશ્ન હાલમાં ઉદ્દભવી રહ્યો છે અને કથિત પુલમાં મસ મોટું કૌભાંડ બહાર આવે તેવી ચોક્ક્સથી સંભાવના સામે આવી રહી છે.

મહેસાણા તાજેતરમાં હજુ મેઘ મહેર થઇ નથી. ગણતરીના બે ઇંચ વરસાદમાં આંબેડકર પુલની હાલત બિસ્માર થવા ગઈ છે. આજુબાજુ રહેણાંક વિસ્તારના લોકો પુલનો ઉપયોગ કરે છે. શહેરીજનો પુલ નીચેથી પોતાની દૈનિક કામગીરી માટે પસાર થતા હોય છે. જ્યારે બાળકો અને વિદ્યાર્થીઓ પુલની નીચે રમતા રહે છે. આશરે 400 મીટર સુધી બનેલા આંબેડકર બ્રીજ નીચે રેલવે લાઈન પસાર થઈ રહી છે. આથી પ્રતિદિન પસાર થતી અનેક રેલવેના મુસાફરો માટે પણ પુલ હાલમાં જોખમી બન્યો છે. એક તરફ હાલમાં ચાલુ વસાદ બાદ ઉઘાડ નીકળતાની સાથે પુલની સ્થિતિ ખરાબ થવાથી તેનું રીપેરીંગ શરુ કરવામાં આવ્યું છે.

જ્યારે મરણ પથારીયે આવી ગયેલા બ્રીજ મહેસાણામાં ભારે વિનાશ સર્જે તે પહેલા જવાબદાર તંત્રએ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. આંબેડકર બ્રિજ ઉપર રોડની બિસ્માર હાલત થઇ જતા ચોમાસા દરમ્યાન ખાડાઓમાં પાણી ભરાઇ જવાથી ખાડો ના દેખાતો હોવાથી કેટલાય વાહનચાલકો ખાડામાં પટકાઇ જાય છે જેથી તેઓને ઇજાઓ પણ થાય છે. જેને લઇને હાલમાં પુલ પરથી લોડિંગ વાહન અને અન્ય વાહનને જોતા ભારે ટ્રાફિક જામના દ્રષ્ય સર્જાઈ જાય છે. સાથે સાથે સ્થાનિકો પણ પુલમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપો કરી રહ્યા છે.

મહેસાણા વિસનગર લીંક રોડ ઉપરનો આંબેડકર ઓવર બ્રીજમાં કરોડો રૂપિયા દબાઈ ગયા હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. કેટલાક વર્ષમાં પુલનો રોડ ધોવાય તે તો સમજ્યા પરંતુ ખાડા પડી ગયા છે અને ખીલાસળી બહાર આવી જવા પામી છે. જેથી પુલની ગુણવત્તા જોતાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકો કહી રહ્યા છે અને રહી જતું હોય તેમ સ્થાનિક તંત્ર બ્રિજ મામલે રેલવે આર.એન્ડ બીને અને રેલવેના અધિકારી સ્થાનિક આર.એન્ડ બીને ખો-ખો આપી રહ્યા છે.

(4:35 pm IST)