Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

એ અકસ્માત કે પછી મોટા રાજકીય માથાને બચાવવા માટે હત્યાનું કાવત્રુ?!

સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર ભાજપના ધારાસભ્યને સંડોવતા બહુચર્ચીત 'ઉન્નાવ રેપ' મામલામાં શંકાસ્પદ બાબત અંગે ગુજરાતનો નિર્ણય મહત્વનો રહેશેઃ એફએસએલ દ્વારા દુધનું દુધ પાણીનું પાણી થશે : ૧૦ કલાક સુધી સીબીઆઇ સાથે એફએસએલના તજજ્ઞો દ્વારા પીડીતા અને તેના એડવોકેટની ગંભીર હાલત માટે નિમિત બનનાર ઘટના અંગે ચર્ચાઃ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ કાર્યાવહી

શંકાસ્પદ અકસ્માત સર્જનાર ડ્રાઇવર-કલીનરને સીબીઆઇ એફએસએલમાં લાવી તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા., ૧૩: સમગ્ર દેશને ખળભળાવનાર ઉતરપ્રદેશના બહુચર્ચીત ઉન્નાવ રેપ કેસ કે જેમાં ભાજપના ધારાસભ્ય કુલદિપ સેંગર સામે ચાર્જશીટ થયેલ છે તેવા આ મામલામાં ગત ર૮ જુલાઇએ ઉતરપ્રદેશના સ્વ.ઇન્દીરા ગાંધી અને સોનીયા ગાંધીના મતક્ષેત્ર એવા રાયબરેલી નજીક પીડીતાની કાર સાથે એક ટ્રક દ્વારા થયેલ ગંભીર અકસ્માતકે જેમાં બેના મોત અને પીડીતા તથા તેના એડવોકેટ ગંભીર ઇજા સાથે દિલ્હીમાં એઇમ્સમાં સારવાર હેઠળ છે તેવો આ મામલો ખરેખર અકસ્માત હતો કે પછી મોટા રાજકીય માથાને બચાવવા માટે હત્યાનું કાવત્રુ ઘડાયેલું ? તે અંગે દુધનું દુધ અને પાણીનું પાણી કરવાની જવાબદારી ગુજરાતના  શીરે અર્થાત વર્લ્ડ કલાસ સાધનો ધરાવતી એફએસએલને સુપ્રત થઇ છે.

એફએસએલના સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ  ઉન્નાવ રેપ તથા તેને આનુસાંગીક  કેસો દિલ્હી ટ્રાન્સફર થયા છે અને સુપ્રિમ કોર્ટ જેના પર બારીકાઇથી નજર રાખી રહી છે તેવા આ મામલામાં અકસ્માત કે હત્યા ? આ બાબતે શંકાકુશંકા ન રહે તે માટે અકસ્માત સર્જનાર ડ્રાઇવર અને કલીનરને રવિવારે જ એફએસએલમાં લાવવામાં આવેલ.

એફએસએલ સુત્રોએ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં અકસ્માત અને તેની આનુસાંગીક બાબતો અને કેસને લગતા પેપર્સો અંગે ૧૦ કલાક સુધી ચર્ચાઓ કરી હતી. ગઇકાલે સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ બ્રેઇન મેપીંગ ટેસ્ટનો પ્રારંભ થયેલ. આજે પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. પરમ દિવસે પણ આ બાબતે ટેસ્ટ અંગેની કાર્યવાહીઓ પણ યથાવત રહેનાર છે.

બ્રેઇન મેપીંગ ટેસ્ટ શું છે? કઇ પધ્ધતીથી થાય છે? જાણવા જેવી કથા

રાજકોટઃ દેશ-વિદેશની પોલીસ તથા સીબીઆઇ અને રો માંથી આવા શંકાસ્પદ આરોપીઓને ગાંધીનગર ખાતે એફએસએલમાં બ્રેઇન મેપીંગ ટેસ્ટમાં લાવવામાં આવે છે.

આવા શકમંદ આરોપીને એક ખાસ રૂમમાં બેસાડવામાં આવે છે અને આ પ્રોસીજર શરૂ થાય તે અગાઉ હેલ્મેટ પ્રકારનો એક ટોપો પહેરાવવામાં આવે છે. વિશાળ સ્ક્રીન પર તેને અકસ્માત કે બીજા ક્રાઇમ સીન અંગેેના દ્રશ્યો દેખાડવામાં આવે છે. બીજા શબ્દમાં તેની યાદદાસ્ત સતેજ કરવામાં આવે છે. આરોપી ખોટુ બોલે તો તે એ સાધનમાં રહેલ ચોક્કસ પ્રકારનું સીગ્નલ ચાડી ખાય છે.

નાર્કોટેસ્ટ માટે આરોપીની સહમતિ જરૂરીઃ નિષ્ણાંત એનેથેસ્ટીકની મદદથી જ ટેસ્ટ એફએસએલ કરે છે

રાજકોટઃ નાર્કોટેસ્ટ માટે આરોપીની સહમતી જરૂરી હોવાનું અદાલતે સ્વીકાર્યુ છે. જો કે ચોક્કસ પ્રકારના કેસમાં નાર્કોટેસ્ટ અતિ આવશ્યક હોય ત્યારે અદાલત તેમાં સહમતિ પણ દર્શાવતી હોવાનું એફએસએલ તજજ્ઞોએ અકિલાને જણાવ્યું હતું. નાર્કોટેસ્ટ નિષ્ણાંત એનેથેસ્ટીકની મદદથી થાય છે. સોડીયમ પેન્ટાથાલ નામનું પ્રવાહી આરોપીને ટ્રાન્સમાં લાવવા અપાય છે. આ વખતે અર્ધજાગૃત જેવી આરોપી દ્વારા અપાતા જવાબોનું એફએસએલ દ્વારા રેકોર્ડીગ પણ કરવામાં આવતું હોય છે.

(11:56 am IST)