Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સાબરમતી રિવરફ્રન્ટ પછી હવે વડનગરનું શર્મિષ્ઠા લેકફ્રન્ટ બનશે આકર્ષણનું કેન્દ્ર

હવે વડનગર બની જશે ખાસ ટૂરિસ્ટ સ્પોટ : ૧૦૦ કરોડના ખર્ચે વિકાસકામો

અમદાવાદ તા. ૧૩ : અમદાવાદમાં વિકસાવવામાં આવેલ સાબરમતિ રિવરફ્રંટ અને કાંકરિયા લેકફ્રંટના આધારે હવે વડાપ્રધાન મોદીના વતન વડનગર ખાતે આવેલ શર્મિષ્ઠા તળાવ અને તાના-રીરી મેમોરિયલને રૂ.૧૦૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. જે ગુજરાતમાં આવેલ આ પૌરાણિક ગામને વધુ એક નવી ઓળખ આપશે. તેમજ રાજયના મુખ્ય શહેર પૈકી એક અમદાવાદથી માત્ર ૧૦૦ કિમી દૂર હોવાના કારણે વધુને વધુ પ્રવાસીઓને વડનગર તરફ આકર્ષશે.

વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદના સાબરમતિ રિવરફ્રંટ અને કાંકરિયા લેકફ્રંટનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો હતો. ક્રમશઃ  રૂ.૧૧૦૦ કરોડ અને રૂ.૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા સાબરમતિ રિવરફ્રંટ અને કાંકરિયા રિવરફ્રંટ આજે અમદાવાદની ઓળખ સમા બની ગયા છે. સાવ મૃતપાય સ્થિતિમાં પહોંચી ગયેલા કાંકરિયા લેકને આ પ્રોજેકટથી નવું જીવનદાન મળ્યું છે. જયારે રિવરફ્રંટ તો ખુદ વડાપ્રધાન મોદીનું પણ સૌથી ફેવરિટ સ્થળ છે માટે જ તેમણે વિશ્વના ટોચના નેતાઓ ચાઈનિઝ પ્રેસિડેન્ટ શિ જિનપિંગ, જાપાનિઝ પીએમ શિંઝો આબે અને ઈઝરાયેલી પીએમ બેન્જિામન નેતન્યાહુને અહીંની મુલાકાત લેવડાવી ખાસ કાર્યક્રમ રજૂ કર્યા હતા.

હવે વડનગર આ જ રીતે દેશ-વિદેશના પ્રવાસીઓ અને ખાસ મહેમાનોની યજમાનગતી કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. ભારતીય રેલવે વિભાગે વડનગરના રેલવે સ્ટેશનને ખાસ હેરિટેજ લૂક આપી તૈયાર કર્યું છે. જયારે હવે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ(TCGL) બે મુખ્ય ટુરિસ્ટ એટ્રેકશન તૈયાર કરી રહ્યું છે. TCGLના મેનેજિંગ ડિરેકટર જેનું દેવને કહ્યું કે, 'શર્મિષ્ઠા લેકફ્રંટમાં તળાવની અંદર પીલર પર બનેલ ૨ કિમીનો વોકવે હશે. જેની એક સાઈડ વોચટાવર પણ બનશે. આ ૩ માળના ટાવર પરથી પ્રવાસીઓ આસપાસનો પેનોરોમિક વ્યુ જોઈ શકશે. તેમજ આ બિલ્ડિંગમાં વડનગરના પૌરાણિક ઇતિહાસને દર્શાવતી ગેલેરી પણ હશે.'

અધિકારીઓએ કહ્યું કે, 'આ એજ તળાવ છે જયાં નાનપણમાં પીએમ મોદીએ મગરના બચ્ચાને પકડ્યું હતું. ગત વર્ષે ઓકટોબરમાં વડનગરની મુલાકાત દરમિયાન લોકોની માગણીને ધ્યાને લઈને આ તળાવના વિકાસ માટે વચન આપ્યું હતું. સમગ્ર પ્રોજેકટ ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થઈ જશે.' ઉલ્લેખનીય છે કે મોદીના ગામ તરીકે પ્રખ્યાત બન્યા પહેલા વડનગરની ઓળખ હેરિટેજ ગામ તરીકેની હતી. અહીએ આવેલ હાટકેશ્વર મંદિર, કિર્તિ તોરણ અને મહાન સંગીતકાર બહેનો તાના-રિરિ તેમજ અહીં મળી આવેલ ૨૨૦૦ વર્ષ જૂની બૌદ્ઘ ગુફાઓના કારણે આ વડનગરને પૌરાણિક ગામ કહેવાય છે.

સંગીતકાર બહેનો તાના-રિરિ અંગે પ્રચલિત છે કે આ બંને બહેનોએ મલ્હાર રાગ ગાઈને અકબરના દરબારમાં રહેલા મહાન સંગીતકાર તાનસેનને દીપક રાગ ગાવાથી થયેલા રિએકશનથી મુકતી અપાવી હતી. આ કારણે આજે પણ રાજય સરકાર બંને બહેનોની યાદમાં વાર્ષિક તાના રિરિ મ્યુઝિક ફેસ્ટિવલ યોજે છે. હવે આ બંને બહેનોના સંગીત વારસાને દર્શાવવા અને જાળવવા માટે શર્મિષ્ઠા તળાવના કિનારે ખાસ થીમ પાર્ક બનાવવામાં આવશે.

આ થીમ પાર્કમાં ૭ વિશાળ ડોમ હશે જે ભારતીય શાસ્ત્રીય સંગીતના સાત સૂરોના આધારે સંગીતના વારસાને લોકો સમક્ષ રજૂ કરશે. ઉપરાંત અહીં ફૂડ પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, લોજિંગ ફેસેલિટી પણ હશે. તેમજ તળાવ ખાતે ઝુલતો પૂલ અને બોટિંગની ફેસેલિટી પણ તૈયરા કરવાનો પ્લાન છે. વડનગરને પ્રવાસીઓના નકસા પર સૌથી ઉપર લઈ આવવા માટે કરવામાં આવતા આ વિકાસ કાર્યો અંગે વડનગર નગરપાલિકાના પ્રમુખ ગેમાજી ઠાકોરે કહ્યું કે, 'અમારા ગામ સાથે વડાપ્રધાન મોદીનું નામ જોડાયેલું હોવાથી આમ પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.'(૨૧.૮)

(11:41 am IST)