Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

રાંધેજા-પેથાપુર હાઇવે નજીક પૂરઝડપે આવતા આઇસરે ટ્રેકટરને હડફેટે લેતા ચાલકનું ઘટનાસ્થળેજ મોત

ગાંધીનગર:જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઇકાલે સાંજે રાંધેજા પાસે પેથાપુરના ટ્રેક્ટર ચાલકને પાછળથી પુરઝડપે આવતી આઇસર ટ્રકે અડફેટે લેતાં શરીરે ગંભીર ઇજાઓના કારણે ટ્રેક્ટર ચાલકનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પેથાપુર પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બોપલમાં રહેતાં પારસભાઇ રમણીકભાઇ જીવાણીએ ફરિયાદ નોંધાવી હતી કેતેમની કંપની દ્વારા ગાંધીનગરમાં ક-૭ થી રાંધેજા ચાર રસ્તા સુધી સ્ટ્રીટ લાઇટો નાંખવાનું કામ લીધું છે. જેની કામગીરી માટે પેથાપુરમાં રહેતાં ગોવિંદજી શંકાજી ઠાકોરનું ટ્રેક્ટર જી.જે.૧૮-એચ.૩૮૦૮ ભાડેથી રાખવામાં આવે છે. ગઇકાલે પણ નિત્યક્રમ મુજબ ગોવિંદજીને ટ્રેક્ટર સાથે બોલાવવામાં આવ્યા હતા અને સાંજે ૭ વાગે કામ પુર્ણ થતાં ગોવિંદજી તેમનું ટ્રેક્ટર લઇને ઘરે જવા નીકળ્યા હતા. રાંધેજા ચાર રસ્તા નજીક ગોવિંદજી પહોંચે તે પહેલાં પાછળથી પુર ઝડપે આવી રહેલી જી.જે.૦૯. એ.યુ.૪૭૩૧ના આઇસરટ્રકના ચાલકે ગોવિંદજીના ટ્રેક્ટરને ટક્કર મારી હતી જેના કારણે તે નીચે પટકાઇને આઇસરના ટાયર નીચે આવી ગયા હતા. અકસ્માતનો ધડાકાભેર અવાજ આવતાં ત્યાં કામ કરી રહેલાં અન્ય કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. આ સંદર્ભે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી હતી અને ગોવિંદજીને મૃત્ય જાહેર કર્યા હતાં. આ ઘટના અંગે પેથાપુર પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:22 pm IST)