Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

વડોદરા :કોરોનાની બીજી લહેરમાં ગોત્રી હોસ્પિટલ અને અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ દર્દીઓની સારવાર કરી:ડૉ. વિનોદ રાવ

સમર્પિત અને પ્રસંશનીય આરોગ્ય સેવાઓ માટે ગોત્રી હોસ્પિટલની સમગ્ર ટીમને બિરદાવી ધન્યવાદ આપ્યા

વડોદરા : કોરોનાની બીજી લહેરના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગોત્રી અને તેને સંલગ્ન અટલાદરા હોસ્પિટલે 12 હજારથી વધુ કોવિડ દર્દીઓની સારવાર કરી. કદાચિત દેશની કોઈ હોસ્પિટલે આટલા મોટા પ્રમાણમાં દર્દીઓની સારવાર કરી નથી.

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું છે કે કોવિડની બીજી લહેરના છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગોત્રીની જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ અને અટલાદરા ખાતેની તેની વિસ્તરણ સુવિધા દ્વારા કોરોનાના 12 હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી. કદાચિત દેશની અન્ય કોઈ હોસ્પિટલે આટલી વ્યાપક સારવાર સેવા આપી નથી.

ડો. વિનોદ રાવે આજે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઈને તમામ નોડલ અધિકારીઓ અને તમામ વિભાગોના અને સંવર્ગના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે સહુની સાથે ત્રીજી લહેરની સંભાવના અને વ્યવસ્થાઓ અંગે પરામર્શ કર્યો હતો. તેમણે દ્વિતીય લહેરમાં સમર્પિત અને પ્રસંશનીય આરોગ્ય સેવાઓ માટે ગોત્રી હોસ્પિટલની સમગ્ર ટીમને હૃદયપૂર્વક બિરદાવી ધન્યવાદ આપ્યા હતા.

(10:50 pm IST)