Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાયુ વાવાઝોડું કાલે દરિયાકાંઠે ત્રાટકશે : લાખોનું સ્થળાંતર થયું

દરિયાકાંઠા પર ઉંચા મોજા ઉછળવાની શરૂઆત થતાં તંત્ર સુસજ્જ : વાવાઝોડાથી પ્રભાવિત થઇ શકે તેવા ૧૦ જિલ્લાઓમાં રહેતા લોકોને સુરક્ષિત ખસેડાયા : સેના, એનડીઆરએફ અને નૌકા સેના સહિત બધી ટુકડી તૈયાર

અમદાવાદ,તા.૧૨ : અરબી દરિયાથી ગુજરાતની તરફ પ્રચંડ ચક્રવાત વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ તેજી સાથે વધી રહ્યું છે. તેની પ્રચંડ અસર પણ દેખાવવા લાગી ગઈ છે. આવતીકાલે બપોર સુધી પ્રચંડ તીવ્રતા સાથે વાયુ વાવાઝોડુ ત્રાટકશે. ગુજરાત સરકાર અને ગુજરાત વહીવટીતંત્ર કુદરતી હોનારતમાં કોઇ નુકસાન ન થાય તેને લઇને સંપૂર્ણપણે સજ્જ છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. ત્રણ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી ચુક્યું છે. સ્થળાંતર પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડુ ત્રાટકનાર છે જેના લીધે આસપાસના વિસ્તારોમાં નુકસાનની પણ શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ ચક્રવાતી તોફાન આવતીકાલે સવારથી લઇને બપોર સુધીના ગાળામાં પોરબંદર અને કચ્છ, વેરાવળના બદલે પોરબંદરના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર, કચ્છના નિચાણવાળા વિસ્તારોમાંથી ત્રણ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી ચુક્યા છે. ૧૦ જિલ્લા જે તોફાનથી સૌથી વધુ પ્રભાવિત થનાર છે તેમાં કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાંથી લોકોને ૧૦૦ ટકા ખસેડવાની કામગીરી ચાલી રહી છે. લોકોને સરકારી ઇમારતોમાં ખેસડવામાં આવ્યા છે. સમગ્ર તંત્ર એલર્ટ ઉપર છે. એનડીઆરએફની ટુકડીઓ પહેલાથી જ પહોંચી ચુકી છે. સેનાએ ગુજરાતના દરિયાકાંઠામાં ૧૦ ટુકડીઓ તૈનાત કરી છે. દરેક ટુકડીમાં ૭૦થી વધુ જવાનો છે. સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૦ જિલ્લાઓમાં ૪૦૮ ગામોમાં રહેતા ૬૦ લાખથી વધુ લોકોને અસર થવાની શક્યતા છે.  ભારે ચિંતા અને દહેશત વચ્ચે વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા આજે સાંજે અધિકારીક રીતે જાહેર કરવામાં આવ્યું છે. હવે વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું છે. બીજીબાજુ, વાવાઝોડુ હવે આવતીકાલે સવારે ત્રાટકવાના બદલે બપોરના સમય સુધીમાં વેરાવળથી લઇ દ્વારકા વચ્ચેના પોરબંદર દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકવાની શકયતા હવે વ્યકત થઇ રહી છે, તેથી હવે સરકાર અને તંત્રએ એ પ્રકારે પણ સમગ્ર સુરક્ષાત્મક તૈયારીઓ અને આયોજન કર્યા છે. વાયુ વાવાઝોડા સંદર્ભે ઉપસ્થિત થનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સુસજ્જ છે. જેને લઈ રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ આજે દરિયાકાંઠાના અસરગ્રસ્ત ૧૦ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી. મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે ૧૪ જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનિટરીંગ કરી રહ્યા છે અને એકેએક હિલચાલ પર બાજનજર રાખી રહ્યા છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં બપોર સુધીમાં ૧,૨૩,૫૫૦થી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. જે માટે રાજ્યભરમાં ૧,૨૧૬ જેટલાં આશ્રયસ્થાનો ઉભા કર્યા છે. જેમાં એન.જી.ઓ. તથા ધાર્મિક સંસ્થાઓના સહયોગથી રહેવાની, જમવાની, પીવાના પાણીની પૂરે પૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે. સ્થળાંતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાંજ સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાશે. ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. જેમાં ૧૪ જેટલા સિનિયર આઇ.એ.એસ. અધિકારીઓ વાવાઝોડા સંદર્ભે તેમના સંબંધિત વિભાગોની કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા છે. મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે જી.ઇ.બી., માર્ગ-મકાન, પોલીસ, ફિશરીઝ, સિંચાઇ અને બાયસેગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ કાર્યરત છે. જેઓ તેમના વિભાગની કામગીરીનું સંબંધિત જિલ્લા સાથે સંકલન કરી રહ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના જામનગર, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ અને રાજકોટ જિલ્લાને વાયુ વાવાઝોડાની અસર થવાની છે. સ્થાનિક કક્ષાએ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકની ટીમ દ્વારા સ્થળાંતરની કામગીરી થઈ રહી છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ઉભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા તથા રાહત બચાવની કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા પુરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ૪૭ જેટલી એનડીઆરએફની ટીમો ફાળવી દેવાઇ છે. જે ૧૦ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તહેનાત કરી દેવાઇ છે. આ જ રીતે એસડીઆરએફની ૧૧ ટીમો અને મરિન પોલીસ પણ સ્ટેન્ડ ટૂ કરી દેવાઇ છે. આ ઉપરાંત આર્મીની ૩૪ ટીમો પણ ગુજરાતમાં આ પરિસ્થિતને પહોંચી વળવા ખડેપગે તૈનાત છે. વાવાઝોડાને લઇ અનેક સુરક્ષા અને બચાવ ટીમો હાઇએલર્ટ અને સ્ટેન્ડ ટુ રખાઇ છે.

ત્રણેય સેનાઓને પણ એલર્ટ કરી દેવાઈ છે

અમદાવાદ, તા. ૧૨ ઃ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વિનાશક વાયુ વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. ૧૦ જિલ્લા જે તોફાનથી પ્રભાવિત થનાર છે તેમાં કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથનો સમાવેશ થાય છે. ૬૦ લાખથી વધુ લોકોને એકંદરે અસર થવાની શક્યતા દેખાઈ રહી છે. ત્રણેય સેનાઓને એલર્ટ કરાઈ છે જેમાં ભૂમિ સેના, નૌકા સેના અને હવાઈ દળનો સમાવેશ થાય છે. દરિયાકાંઠાના સુરક્ષા જવાનોને પણ એલર્ટ કરાયા છે.

(7:33 pm IST)