Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અમેરિકાની વિશ્વ ઉમિયાધામ ટીમ કોરોના મહામારીમાં ગુજરાતની વહારેઃ ૧૦૦૦ ઓક્સિજન કોસ્ટ્રેટર ગુજરાત મોકલવાની જાહેરાતના પગલે પહેલો જથ્થો અમદાવાદ પહોંચ્યો

અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંકટ સમયે અનેક સામાજિક સંસ્થાઓ અનેક સમાજોએ મદદનો હાથ લંબાવ્યો છે. કોઈ ઓક્સિજનની વ્યવસ્થા કરે છે, તો કોઈ બેડની, કોઈ વિનામૂલ્યે ભોજન આપે છે તો કોઈ રૂપિયાનુ દાન કરે છે. આવામાં પાટીદારોની સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરકારના મદદે આવી છે. અમેરિકાની વિશ્વ ઉમિયાધામ ટીમ ગુજરાતની વ્હારે આવી છે. વિશ્વ ઉમિયાધામ યુએસએ ટીમે 1000 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાતમાં મોકલવાની જાહેરાત કરી હતી. જેનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચી ગયો છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા ગુજરાત સરકારને કોરોના સંકટમાં સહયોગ કરશે તેવી જાહેરાત કરાઈ હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમેરિકા અને કેનેડાના દાતા અને ટ્રસ્ટીઓમાં રહેલી વતન પ્રત્યેની ભાવના તેમને આ મદદ કરવા પ્રેરણાદાયી બની છે. 335 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અમદાવાદ જાસપુર વિશ્વ ઉમિયાધામ મંદિરેથી આજથી અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. આજે ઉર્જામંત્રી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરાઈ હતી. આજથી 20 જેટલા નિષ્ણાંત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોનાં કાઉન્સેલિંગ સેવા આપશે.

સૌપ્રથમ 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક આવશે. અમેરિકન સરકારની ગાઈડલાઈન મુજબ દર સોમવારે 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાત આવશે. જોકે, અમેરિકામાં પણ કોન્સ્ટ્રેટરની અછત હોવાથી દર સોમવારે 100-100 કોન્સ્ટ્રેટર આવશે. આમ, રાજ્યના વિવિધ શહેરોમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર ડિસ્ટ્રીબ્યુટ કરાશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાથી આવનાર 1 હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ઓક્સિજન બેંક શરૂ કરાઈ છે. જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિશુલ્ક અપાઈ રહી છે. છેલ્લા સાત દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર નિશુલ્ક હોસ્પિટલ્સ અને દર્દીઓને આપવામાં આવી છે.

(4:42 pm IST)