Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કાલે વણજોયુ મુહૂર્ત અખાત્રીજઃ શુભકાર્યોને કોરોનાનું ગ્રહણ

લગ્ન, વેવિશાળ, ગૃહ પ્રવેશ સહિતના કાર્યો મર્યાદિત સંખ્યામાં કરાશેઃ લોકો ઘરે બેઠા જ ધાર્મિક કાર્યો કરશે

રાજકોટ તા. ૧૩ :.. કાલે વણજોયુ મુહૂર્ત અખાત્રીજ છે. જો કે આ વખતે કોરોના મહામારીના કારણે શુભકાર્યોને કોરોનાનું ગ્રહણ નડશે.

લગ્ન, વેવિશાળ, ગૃહ પ્રવેશ સહિતના કાર્યો સામુહિક રીતે કરવામાં નહી આવે પરંતુ સાદગીપૂર્ણ અને કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે કરાશે. ર૧ મી સદીમાં પ્રથમવાર અખાત્રીજ લગ્નના માંડવા અને શરણાઇઓ વગરની સૂનીસૂની અને સોનું - ચાંદી, ઝર-ઝવેરાત, હીરા-માણેકની ખરીદી વગરની કોરીધાકોર રહેશે.

અખાત્રીજના દિવસે સાંજના શ્રીયંત્રનું પૂજન કરવાથી સ્થિર લક્ષ્મી રહે છે. પુરાણોમાં આ તિથીને યુગાદિ તિથી કહેવામાં આવે છે. એટલે આ દિવસે સતયુગની શરૂઆત માનવામાં આવે છે. મહાભારત અને નારદ સંહિતામાં આ દિવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જયોતિષમાં અખાત્રીજને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. અખાત્રીજના દિવસે કરવામાં આવેલાં કોઇપણ પ્રકારના દાનનું પુણ્ય કયારેય નષ્ટ થતું નથી. આ તિથીએ જે શુભ કામ કરવામાં આવે છે તેનું અક્ષય ફળ મળે છે.

(10:58 am IST)