Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

પણસોરા-નડિયાદ હાઇવે પર બસ-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: કાર ચાલકનું કમકમાટી ભર્યું મોત

પણસોરા:પણસોરા-નડીઆદ રોડ ઉપર આવેલા વણસોલ પાટીયા પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક એસટી બસે રોંગ સાઈડ પર જઈને કારને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે ભાલેજ પોલીસે એસટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર આણંદ શહેરના સાંગોડપુરા વિસ્તારમાં રહેતો જગદીશભાઈ મનુભાઈ પઢિયાર (ઉ. વ. ૨૪)ગઈકાલે રાત્રીના સુમારે જલુજીની મુવાડી ખાતે રહેતા કુટુંબી ભાણીનું લગ્ન હોય રસોડામાં જવા માટે મારૂતી ફ્રન્ટી કાર નંબર જીજે-૦૬, બીએલ-૫૦૪૫ની લઈને નીકળ્યો હતો. રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે વણસોલ પાટીયા પાસે આવેલી ખોડીયાર કાઠીયાવાડી હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે પુરપાટ ઝડપે રોંગ સાઈડે આવી ચઢેલી એસટી બસ નંબર જીજે-૧૮, ઝેડ-૨૪૭૪એ ટક્કર મારતાં કારની આગળના ભાગનો લોચો થઈ જવા પામ્યો હતો. જેમાં જગદીશભાઈને આંખ, પગ તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતુ. 

(5:48 pm IST)