Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અંબાજી-પાલનપુર હાઇવે પર ત્રિપલ અકસ્માત:ઘટનાસ્થળેજ ત્રણ શખ્સોએ દમ તોડ્યા

પાલનપુર: શહેરના અંબાજી હાઈવે પર આવેલા રતનપુર ગામ નજીક રવિવારના ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકી સહિત છ વ્યક્તિ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં પાલનપુરના મહેશ્વરી સમાજના લોકો ટવેરા ગાડીમાં સવાર થઈ અંબાજી માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન પાલનપુર નજીક રતનપુર ગામે સામેથી પુરઝડપે આવી રહેલ પીકઅપ ડાલાએ અંબાજી જતી ટવેરા ગાડીને ધડાકાભેર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગાડીમાં સવાર ત્રણ વ્યક્તિના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

પાલનપુરના શક્તિનગર વિસ્તારમાં રહેતા મહેશ્વરી સમાજના લોકો રવિવારના દિવસે ટવેરામાં સવાર થઈને અંબાજી દર્શન કરવા નીકળ્યા હતા. જેમાં પાલનપુર નજીક અંબાજી હાઈવે પર આવેલ રતનપુર ગામ નજીક ટવેરા પસાર થઈ રહી હતી તે સમયે સામેથી કાળ બનીને પુરઝડપે આવી રહેલ પીકઅપ ડાલાએ અંબાજી તરફ જતી ટવેરાને જોરદાર ટક્કર મારીને પાછળ આવી રહેલ બીજા પીકઅપ ડાલા સાથે અથડાતાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અંબાજી દર્શને જતા ટવેરામાં સવાર એક યુવક અને બે વૃધ્ધ સહિત ત્રણ વ્યક્તિના કરૃણ મોત નિપજ્યા હતા. જ્યારે ગાડીમાં સવાર છ વ્યક્તિ ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગંભીર ઘાયલ ત્રણ વ્યક્તિને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા.

(5:41 pm IST)