Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

આર.ટી.પી.સી.આરનો બોગસ રિપોર્ટ આપનાર ગાયત્રી લેબને AMC દ્વારા સીલ કરાઈ : સંચાલક સામે ફરિયાદની તાજવીજ

અમદાવાદ: ખોટા કોરોના રિપોર્ટ આપવા બદલ અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા ઘોડાસરમાં આવેલી ગાયત્રી પેથોલોજી લેબને સીલ કરવામાં આવી છે. આ લેબોરેટરીના સંચાલક નિલેશ વાઘેલા કોરોનાના આર.ટી.પી.સી.આર ખોટા રિપોર્ટ સ્ટર્લીંગ એક્યુરસીના નામે આપે છે. આ અંગે ફરિયાદ મળતાં સાઉથ જોન હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા લેબ સાથે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગાયત્રી લેબોરેટરી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ તેમના લેબના નથી. જેથી ગાયત્રી લેબમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં ગાયત્રી લેબ પાસે લાયસન્સ મળી આવ્યું ન હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર વિનોદ મહેશ્વરી નામના વ્યક્તિએ આ લેબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. વિનોદ મહેશ્વરીના પત્ની કિરણ મહેશ્વરીનો ખોટો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેના આધારે વિનોદ મહેશ્વરીએ કોર્પોરેશનમાં આ લેબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેથી તેના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોન હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા લેબોરેટરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન ધ્યાનમાં આવ્યું કે આ લેબોરેટરી પાસે જરૂરી લાયસન્સ પણ નથી. તેમજ કોઈ પણ જાતના દસ્તાવેજ કે પુરાવા પણ મળી આવ્યા નહોતા.

ગુજરાત સરકાર દ્વારા આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવા માટે જરૂરી લાયસન્સ આપવામાં આવેલ છે. ગાયત્રી લેબોરેટરીના નીલેશ વાઘેલા પાસે આ લાયસન્સ ન હતું તેમજ ગેરકાયદેસર રીતે આર.ટી.પી.સી.આર રિપોર્ટ સ્ટર્લીંગ એકયુરસીના નામે આપીને ગંભીર ગુનો આચરેલ છે. જેથી અંદર કોર્પોરેશન દ્વારા ગાયત્રી સીલ કરવામાં આવે છે તેમજ લેબોરેટરીના સંચાલક નિલેશ વાઘેલા સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(6:21 pm IST)