Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

રાજ્યમાં આચાર સંહિતાનો કડક અમલ દારૂ અને પૈસાની રેલમછેલ પર બાજ નજર : 67.50 લાખનો દારુ ઝડપાયો

રાજયમાં ૫૬૩ ફ્લાઈંગ સ્ક્વોડ, ૩૭૮ વિડિયો સર્વેલન્સ ટીમ, ૨૦૭ વિડિયો વ્યુઈંગ ટીમ અને ૨૬ હિસાબી ટીમ કાર્યરત

 

અમદાવાદ :રાજ્યમાં લોકસભાની ચૂંટણીને પગલે આદર્શ આચારસંહિતા લાગુ પડતાં કડક અમલ થઇ રહયો છે રાજયમાં નોડલ અધિકારીશ્રી, ફ્લાઈંગ સ્કવોડ, વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યૂઈઁગ ટીમ કાર્યરત કરવામાં આવી છે, તેમ રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી ડો. ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું

 

  રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ  જણાવ્યું હતું કે પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે સમગ્ર રાજયમાં ૫૬૩ ફ્લાઈંગ સ્ક્વોડ, ૩૭૮ વિડિયો સર્વેલન્સ ટીમ, ૨૦૭ વિડિયો વ્યુઈંગ ટીમ અને ૨૬ હિસાબી ટીમ કાર્યરત કરવામાં આવી છે. સર્વે ટીમ દ્વારા રાજકીય પક્ષ અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવામાં આવશે. રાજયના ૧૧ એરપોર્ટ પર આવકવેરા વિભાગ દ્વારા એર ઈન્ટેલિજન્સ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આચારસંહિતા લાગુ થયા બાદ પોલીસ તંત્ર દ્વારા આશરે રૂ.૬૭.૮૫ લાખનો ૨૧,૮૮૫ લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત,ચૂંટણી ખર્ચ નિયંત્રણની અદ્યતન સૂચનાઓ મુજબ સર્વે જિલ્લા તંત્રને જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.
  
રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૧૯ દરમિયાન પારદર્શી રીતે મતદાન કરી શકે તે માટે આધુનિક ટેક્નોલોજીનાં ઉપયોગથી અનેકવિધ પગલાં લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજ્યનાં ચૂંટણી તંત્ર દ્વારા અંદાજિત ૫૦૦૦ થી ૫૫૦૦ મતદાન મથકો ખાતેથી લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે, તેમ મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું.
મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે તા.૧૦/૦૩/૨૦૧૯ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી અંગેના કાર્યક્રમની જાહેરાત કરતાં તે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. જે અંગેની વિગતવાર સૂચનાઓ મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની અધિકૃત વેબસાઇટ ceo.gujarat.gov.in ઉપર મૂકવામાં આવી છે.
 
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ની જાહેરાત બાદ લાગુ પડેલી આદર્શ આચારસંહિતાનાં ભાગરૂપે રાજ્યભરમાંથી ૬૦,૬૪૩ જેટલાં બેનર્સ, હોર્ડિગ્સ, પોસ્ટર્સ, દિવાલ પરનાં લખાણો અને ધજા-પતાકાને દૂર કરવામાં આવ્યા છે.

  મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં આવેલી જાહેર ઈમારતો પરથી કુલ ૫૬,૪૫૭ તેમજ ખાનગી ઈમારતો પરથી કુલ ૪૧૮૬ એમ કુલ ૬૦,૬૪૩ બેનર્સ, હોર્ડિગ્સ, પોસ્ટર્સ, દિવાલ પરનાં લખાણો અને ધજા-પતાકાને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત, C-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા મળતી ફરિયાદો તાત્કાલિક ધોરણે દૂર કરવા જિલ્લા કક્ષાએ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
  
આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯ મુક્ત, ન્યાયી તથા પારદર્શક વાતાવરણમાં શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાનાં સંદર્ભમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંગે રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૧૦,૦૨૩ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી ૩૯૭૦ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે ૩૦૭૪ વ્યક્તિઓ સામે સીઆરપીસી હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે

(12:29 am IST)