Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

અેન્જિનિયરીંગમાં કેરિયર બનાવવાની ઇચ્‍છા રાખનાર હિંમતનગરના ધો.૧૨ના તેજસ્વી વિદ્યાર્થી હિત શાહનો આ૫ઘાત

હિંમતનગરઃ અભ્‍યાસના ભારણના કારણે ધો.૧૨ના વિદ્યાર્થીઅે આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના મહાવીરનગર વિસ્તારમાં ગણપતિ મંદિર પાસે આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતાં અને ફાર્મસી કોલેજમાં નોકરી કરતાં ગૌરાંગભાઈ શાહનો એકનો એક પુત્ર હિત ધો.૧ર સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ૧રમી માર્ચે શરૃ થનારી પરીક્ષા માટે તેણે સમગ્ર વર્ષ દરમ્યાન તનતોડ મહેનત કરી પરંતુ ન જાણે કેમ તે પરીક્ષાની આગળની સાંજે ડિપ્રેશનનો ભોગ બની ગયો હતો.

દરમ્યાન તેના માતા પિતા દર રવિવારની જેમ સ્વામીનારાયણ મંદિર ખાતે સત્સંગમાં ગયા હતા, તે દરમ્યાન ડિપ્રેશન રૃપી રાક્ષસે હિતને શિકાર બનાવી લેતા તે તેના ઘરની અંદર જે રૃમમાં અભ્યાસ કરતો હતો તે જ રૃમમાં તેના મમ્મીના દુપટ્ટા વડે પંખે લટકી ગયો હતો. જયારે હિતના માતા પિતા પરત આવ્યા ત્યારે હિતનો રૃમ અંદરથી બંધ હતો તેથી તેમને શંકા જતાં તેઓએ દરવાજો જબરદસ્તીથી ખોલીને જોયું તો તેમના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી, અને ચીસાચીસો ચાલુ થઈ ગઈ હતી. એકનો એક વ્હાલસોયો પુત્ર આવું પગલું ભરી લેશે તેની કલ્પના પણ કોઈને ન થાય તેવી આ ઘટનાને પગલે આસપાસથી લોકોનું ટોળું ઘરે એકત્ર થઈ ગયું હતું. આ ઘટનાએ ભલભલાને હચમચાવી દીધા હતા અને વિચારતા કરી દીધા હતા કે ટકા પાછળ વિદ્યાર્થીઓ આટલા બધા દબાણ નીચે આવે તે કેટલા અંશે વ્યાજબી છે.

ધો.૧ર સાયન્સમાં અભ્યાસ કરતો હિત શહેરની ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો, અને તેને એન્જીનીયરીંગ ક્ષેત્રે આગળ વધવું હતુ. ભણવામાં અતિ હોશિયાર વિદ્યાર્થીએ પરીક્ષાના આગળના દિવસે જ પોતાની મહામૂલી જિંદગીનો અંત આણી દેતાં તેના પરીવારજનો ઉપર આફતનું આભ તૂટી પડયું છે. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે હિત જેવો ભણવામાં હોશિયાર વિદ્યાર્થી ડિપ્રેશનનો શિકાર બની જશે અને આવું ખતરનાક પગલું ભરી દેશે.

(9:04 pm IST)