Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ઉત્તરાયણના દિવસે વિરમગામમાં જામશે ૫તંગબાજીનું આકાશી યુદ્ધ : એ...કાપ્યો છે ની બુમો સંભળાશે

લોકો પતંગ ચડાવવાની સાથે ઉંધીયા-જલેબીની લીજ્જત માણશે:કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીને કારણે પતંગ રસીકોએ સરકારી ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામ શહેર અને તાલુકામાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ૧૪ જાન્યુઆરી  ઉત્તરાયણના દિવસે વિરમગામમાં પતંગબાજીનું આકાશી યુધ્ધ જામશે અને ચારે બાજુ “કાપ્યો છે” ની બુમો સાંભળવા મળશે. ઉત્તરાયણ પર્વ દાન, પુણ્ય અને ખુલ્લા આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવવાનો પર્વ અને આખો દિવસ ધાબા ઉપર જઈને પતંગ ચગાવવાની સાથે ઉંધીયા જલેબીની લીજ્જત માણવાનો પ્રસંગ છે. ઉત્તરાયણના દિવસે સવારથી જ શહેરમાં ઠેર ઠેર જલેબી અને ગરમા ગરમ ઉંધીયાનું વેચાણ વેપારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવશે.
    મકરસક્રાંતિનો પર્વ એટલે દાન, પુણ્ય કરવાનો દિવસ અને સાથે સાથે બાળકો , યુવાનો , વયોવૃધ્ધ સુધીના લોકો ઉત્તરાયણના દિવસે ધાબા પર ચડી રંગબેરંગી પતંગો ચગાવશે . વિરમગામની આસપાસનું આખુ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું જોવા મળશે અને પતંગ ચગાવવાનો અનેરો આનંદ માણવા શહેરીજનો સવારથી જ ધાબા પર જોવા મળશે. પતંગ કાપતા કે કપાતા લોકોની ખુશી વ્યક્ત કરવા ચીચીયારીઓ અને પીપુડાના અવાજોથી પોતાની ખુશી વ્યક્ત કરશે.

 ઉત્તરાયણના દિવસે ગરમ ગરમ જલેબી અને ઉંધીયા આરોગવાનું એક વિશેષ મહત્વ છે ત્યારે શહેરમાં આવેલ ફરસાણોની દુકાનોના વેપારીઓએ ઉત્તરાયણના પર્વને ધ્યાને લઈ વિવિધ શાકભાજીઓ ખરીદી કરી ઉંધીયું બનાવી વેચાણ અર્થે ઠેર ઠેર મુકવામાં આવશે. ગ્રાહકોને ધ્યાને લઈ વેપારીઓએ ઉંધીયા અને જલેબીનો પુરતો સ્ટોક બજારમાં ખડકી દેશે અને પતંગરસીયાઓ સવારથી જ જલેબી અને ઉંધીયું ધાબા પર આરોગી પતંગ ચગાવવાની મઝા માણશે. જો કે કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીને કારણે પતંગ રસીકોએ સરકારી ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે.
 ઉત્તરાયણ એટલે દાન-પુણ્ય માટેનું શ્રેષ્ઠ પર્વ
        ૧૪મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી મકરસક્રાંતિ પર્વ એટલે કે ઉત્તરાયણ પર્વની સમગ્ર દેશમાં ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવશે. મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થતાંની સાથે તિર્થ સ્થાનોમાં સ્નાન, જપ, તપ કરાતાં હોય છે. સૂર્ય તેની પૃથ્વીની આસપાસની આ દિવસે પરીભ્રમણની દિશા બદલે છે અને સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે. તેથી આ ખગોળીય ઘટનાને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. ઉત્તરાયણ પર્વ ગયા પછી ઠંડીનું પ્રમાણ ક્રમશઃ ઘટતું હોવાની વર્ષોથી માન્યતા રહેલી છે. ઉત્તરાયણ પછી દિવસ વધુ લાંબો થતો હોય છે પરંતુ ઉત્તરાયણનું પર્વ દાન માટેનું શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ રાત્રે કૂતરાં માટે લાડુ અને લાપસીનું ભોજન તૈયાર કરાતું હોય છે. ગૌવંશ માટે લીલો અને સૂકો ઘાસચારો પણ પીરસવામાં આવતો હોય છે.

(5:58 pm IST)