Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ઉત્તરાયણ માટેની માર્ગદર્શિકામાં ગતકડા જેવા નિયમોથી ભારે રોષ

ગૃહ વિભાગની ગાઇડલાઇનમાં કેટલાક મુદ્દાની સામે લોકો દ્વારા સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવીને બળાપો કઢાયો

અમદાવાદ તા. ૧૩ : ગત અઠવાડિયે રાજય સરકારના ગૃહ વિભાગ દ્વારા ઉત્તરાયણ ઉજવવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં ગતકડાં જેવા નિયમોથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગૃહવિભાગની માર્ગદર્શિકાના કેટલાક મુદ્દાની સામે સોશિયલ મીડિયા ઉપર પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૃહ વિભાગની ગાઈડલાઈનાં સૌથી હાસ્‍યાપદ ગતકડું આગાસી કે ધાબા પર મ્‍યુઝિક સિસ્‍ટમ કે ડીજે નહીં વગાડી શકાય તેનું છે. જેનો હેતું સરકારના એંગલથી ભીડ ભેગી ના થાય તેવો છે, પરંતુ કોઈ વ્‍યક્‍તિગત ધાબા પર પણ મ્‍યુઝિક સિસ્‍ટમ કેમ વગાડી શકે નહીં અને નિયમાનુસાર ઉજવણી થતી હોય તો પણ મ્‍યુઝિક કેમ ના વગાડી શકાય તેવું પંતગરસિયાઓ પૂછી રહ્યા છે.

ગૃહવિભાગની ગાઈડલાઈમાં જાહેર સ્‍થળો કે ખુલ્લા મેદાનોમાં પતંગ ચગાવી શકાશે નહીં તેવો ઉલ્લેખ કરેલો છે, પરંતુ જે ગરીબ વર્ગના લોકો છે અથવા ધાબુ નથી તેવા લોકો પતંગ ક્‍યાં ચગાવશે તેવો સવાલ સોશિયલ મીડિયા થકી સરકારને પૂછવામાં આવી રહ્યો છે. ધાબા કે અગાસ પર રહશો સિવાય કોઈપણને પ્રવેશ નહીં આપવા માટેનું માર્ગદર્શિકામાં જણાવ્‍યું છે. પરંતુ ઉત્તરાયણ એક કૌટુમ્‍બિક તહેવાર છે, વર્ષોથી કોઈના ઘરે બહેન કે ભાઈના સંતાનો આવી ઉત્તરાયણ ઉજવતા હોય છે તો તે કેવી રીતે અટકાવી શકાશે? અને જો પોલીસ આ અંગે કોઈ કાર્યવાહી કરશે તો તેના માટે જવાબદારી કોની રહેશે? તેવા જવાબ સચિવાલયમાં બેસતા નેતાઓ આપે તેમ લોકોના સંદેશો વહેતા થયા છે.

ઉત્તરાયણની માર્ગદર્શિકામાં કોરોનાને લગત સૂચનાઓનો ભંગ થશે તો સોસાયટી કે ફલેટના સેક્રેટરી કે અધિકૃત વ્‍યક્‍તિઓ જવાબદાર થશે તેવો ઉલ્લેખ છે. કેટલીક સોસાયટીના સેક્રેટરીઓના કહેવા મુજબ સોસાયટી રજિસ્‍ટ્રર્ડ હોય એટલે સેક્રેટરી કે ચેરમેન સહિત ઘણા હોદ્દેદારો માનદ સેવા આપતા હોય છે. તેઓ આ કામ માટે મહેનતાણું લેતા નથી. માત્ર મેઈન્‍ટેનન્‍સ અને વહીવટ સંભાલવા માટે જ હોય છે. પરંતુ રહીશો ઉપર તેમનું કોઈ કાયદાકીય નિયંત્રણ હોતું નથી. ત્‍યાં પોલીસ કોણે જવાબદાર ઠેરવશે તે પણ એક પ્રશ્ન છે.

 

ઉતરાયણ માટેની સરકારની ગાઈડલાઈન

*   જાહેર સ્‍થળો, ખુલ્લા મેદાનો કે રસ્‍તાઓ પર એકઠા થઈ શકાશે નહીં અને પતંગ ચગાવી શકાશે નહીં.

*   પરિવારજનો સાથે કોરોનાના નિયમોનું ચુસ્‍તપણે પાલન કરતા તહેવાર ઉજવવાની સલાહ આપવામાં આવે છે.

*   માસ્‍ક વગર બિલ્‍ડિંગ કે ફલેટના ધાબા પર એકઠા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં, આ ઉપરાંત સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ અને સેનિટાઈઝર પણ ફરજિયાત રહેશે.

*   બિલ્‍ડિંગના રહેવાસીઓ સિવાય અન્‍ય કોઈ પણ વ્‍યક્‍તિઓને ફલેટના ધાબા અને રહેણાક સોસાયટીઓના ખુલ્લા મેદાનમાં એકઠા થવા દેવામાં આવશે નહીં, જો આનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન જવાબદાર રહેશે.

*   ધાબા અને મેદાનોમાં મોટી સંખ્‍યામાં એકઠા થઈ શકાશે નહીં.

*   લાઉડ સ્‍પીકર્સ અને મ્‍યૂઝિક વગાડી શકાશે નહીં.

*   ૬૫ વર્ષ કરતા વધુ ઉંમરની સાથે કોમોરિબિડિટીઝ ધરાવતા તેમજ બાળકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે.

*   જનતામાં અશાંતિ સર્જાય તેવું લખાણ અને સ્‍લોગન પતંગ પર લખવાની પરવાનગી નથી.

*   ચાઈનીઝ તુક્કલ અને દોરી પર પ્રતિંબધ છે, સાથે જે દોરીમાં કાચનો ઉપયોગ કરવો નહીં, આ ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવું.

*   અમદાવાદના પતંગ બજાર જેવા કે રાયપુર, ટંકશાળ, નરોડામાં ખરીદી કરવા જાઓ ત્‍યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું તેમજ પોલીસને સહયોગ આપવો.

*   અગાઉની ગાઈડલાઈન મુજબના કોરોનાના તમામ નિયમો પાલન કરવાનું રહેશે.

*   રાજયના ચાર શહેરોમાં જે રાત્રિ કફર્યુ લાગુ કરાયો છે તેનો અમલ કરવાનો રહેશે.

*  ચોક્કસ અમલીકરણ માટે પોલીસ ગોઠવાશે, સીસીટીવીથી નજર રખાશે તેમજ ડ્રોનનો પણ   ઉપયોગ કરાશે.

(10:41 am IST)