Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

અમદાવાદી કરોડો રૂપિયાનું ઉધીયુ-જલેબી ઝાપટી જશે

ઉજવણી ઉંધીયુ-જલેબીની જયાફત વિના અધૂરી : ઉંધીયા અને જલેબીની ખરીદી માટે લાંબી લાઇન : ભાવો વધ્યા છતાં અમદાવાદી ઉંધીયુ-જલેબીની મોજ માણશે

અમદાવાદ,તા. ૧૩ : ઊત્તરાયણના પર્વની ઉજવણી ઉંધીયા-જલેબીની જયાફત વિના જાણે અધૂરી મનાય છે. ઊતરાયણના તહેવારની ઉજવણી હોય અને ઉંધીયા-જલેબીની જયાફત ના ઉડે એ તો શકય જ નથી. ઊતરાયણના પતંગ-દોરીની લૂંટની સાથે સાથે ઉંધીયા-જલેબીની જયાફતની મોજ પણ પ્રાચીન કાળથી જોડાયેલી છે. ઊતરાયણની તહેવાર ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ મન ભરીને મોજ માણીને ઉજવવા માટે જાણીતા છે. ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓનું ઊતરાયણનું મેઇન મેનુ ઉંધીયુ-જલેબી જ છે. ઊતરાયણ-વાસી ઊતરાયણના બે દિવસ દરમ્યાન જ અમદાવાદીઓ કરોડો રૂપિયાનું ઉંધીયુ-જેલબી ઝાપટી જશે.  ઊત્તરાયણ-વાસી ઊત્તરાયણને લઇ શહેરના વિવિધ સ્વીટમાર્ટ્સ અને ફરસાણવાળાને ત્યાં ગ્રાહકોની લાંબી લાઇનો લાગી હતી. આ વર્ષે જીએસટી અને મોંઘવારીની અસરના કારણે ઉંધીયા-જલેબીના ભાવોમાં નોંધપાત્ર વધારો થવા છતાં લોકોએ ઉંધીયા-જલેબીની ખરીદી માટે રીતસરની પડાપડી કરી હતી. અમદાવાદીઓના શોખને ધ્યાનમાં લઇને શહેરના વિવિધ સ્વીટમાર્ટ અને ફરસાણ-મીઠાઇઓવાળાઓએ ઉંધીયા-જેલેબીના વેચાણ માટે ખાસ વ્યવસ્થા કરી છે અને તેના ભાગરૂપે ઉંધીયા-જલેબીના વિશાળ સ્ટોલ્સ,મંડપ અને શામિયાણાં ઉભા કર્યા છે, જયાં ગ્રાહકોની લાંબી લાઇનો અને ભારે ભીડ જોવા મળતી હતી. એટલું જ નહી, ઊતરાયણના તહેવારને લઇ શહેરના જાણીતા સ્વીટ માર્ટસ્ અને ફરસાણ-મીઠાઇવાળાઓએ તો ઉંધીયા-જલેબીની ડિમાન્ડને પહોંચી વળવા આગોતરી તૈયારી કરી હતી અને ચાર-પાંચ દિવસ પહેલાથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જેના ભાગરૂપે તેઓએ તેમના મેઇન સ્ટોલ કે દુકાનની આગળ જ વધારાના મંડપ, સ્ટોલ્સ અને શામિયાણા બાંધી ઉંધીયા-જલેબીના વેચાણ માટેની અલગ જ વ્યવસ્થા કરી હતી. કેટલાક જાણીતા સ્વીટમાર્ટસ અને ફરસાણ-મીઠાઇવાળાઓએ ઉત્સાહી પતંગરસિયાઓ અને ખાવાના શોખીન ગ્રાહકોની ડિમાન્ડને લઇ આગોતરા ઓર્ડર પણ મેળવ્યા હતા. આજે રવિવારની રજા અને આવતીકાલે ઊત્તરાયણ અને મંગળવારે વાસી ઊતરાયણના તહેવારને લઇ શહેરના વિવિધ વિસ્તારો અને માર્ગો પર ઉંધીયુ-જલેબી ખરીદવા માટે અમદાવાદી શોખીન ગ્રાહકોએ લાંબી લાંબી લાઇનો લગાવી હતી. ઉંધીયુ-જલેબીના લગભગ તમામ સ્ટોલ્સ અને દુકાનો પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરની આવી નાની દુકાનો પર ઉંધીયાનો એક કિલોનો ભાવ રૂ.૨૭૦થી રૂ.૩૧૦ સુધીનો રહ્યો હતો. તો જલેબીનો ભાવ રૂ.૫૦૦થી લઇ રૂ.૬૦૦-૬૨૫ સુધીનો જોવા મળ્યો હતો. તો, શહેરના જાણીતા સ્વીટમાર્ટ્સ અને ફરસાણ-મીઠાઇવાળાઓના ત્યાં આ જ હાઇકવોલિટી અને ચોખ્ખા-ઘી તેલમાંથી બનાવાયેલ ઉંધીયા-જલેબીનો ભાવ એક કિલોના અનુક્રમે રૂ.૪૭૦ થી રૂ.૬૦૦ સુધી અને રૂ.૭૫૦થી રૂ.૯૫૦ સુધીનો જોવા મળ્યો હતો. જે ગત વર્ષની સરખામણીમાં ખાસ્સો વધારે અને નોંધનીય હતો. વેપારીઓના કહેવા મુજબ, ઉંધીયા જલેબીના ભાવમાં જબ્બર ઉછાળા માટે જીએસટીનું ફેકટર જ જવાબદાર છે.

જો કે, આ નોંધપાત્ર ભાવવધારા વચ્ચે પણ અમદાવાદીઓએ મન ભરીને કરોડો રૂપિયાના ઉંધીયા-જલેબી આરોગ્યા હતા અને  તેની જયાફતો વચ્ચે ઊતરાયણની ઉજવણી કરી હતી. ઉંધીયા-જલેબીની સાથે સાથે ફાફડા-ચોળાફળી, ગોટા, ગાંઠિયાના માર્કેટમાં પણ સારુ એવું વેચાણ નોંધાયું હતું. અમદાવાદીઓએ બે દિવસનુ નાસ્તા-જમવાનું અલગ જ મેનુ તૈયાર કર્યું હોઇ ેખાણી-પીણીવાળાઓને ભારે તડાકો પડી ગયો હતો. તો, સ્વાદના કેટલાક રસિયાઓએ ઘેર જ ઉંધીયુુ બનાવી, જલેબી બહારથી મંગાવી ઉંધીયા-જલેબીની જયાફત માણી હતી.

(4:42 pm IST)