Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

અંકલેશ્‍વરના સારંગપુર ગામ પાસે રોશની નગરમાં પદ્માવતી સોસાયટીમાં ખાનગી ફાયરિંગમા ૧ નું મોતઃ ઘટનાસ્‍થળે લોકો ઉમટી પડયાઃ પોલીસે ઘટનાસ્‍થળે બાજી સંભાળી લીધી

અંકલેશ્વર સારંગપુર ગામની નજીક આવેલ પદ્માવતી નગર પાસેના રોશનીનગરમાં ફાયરિંગ થવાની ઘટના સામે આવતા પોલીસતંત્ર દોડતું થયું હતું.ગેરેજ ચાલક સમીમ ખાન પર ફાયરિંગ થયું હતું.

ઘટનાની મળતી વિગત અનુસાર ગેરેજ ચલાવતા સમીમ ખાનના માથાના ભાગે ગોળી વાગતા મોત નીપજયું હતું. આ ફાયરિંગ અજાણ્યા ઇસમો દ્વારા કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ આજુબાજુના પાડોશીઓને થતાં તમામ પાડોશી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમના દ્વારા સમીમભાઈ ખાનને તાત્કાલિક જ્યાબેન હોસ્પીટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલના હાજર તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

માંડવા આરામ હોટલ પાસે તેમનું ગેરેજ બંધ કરી ઘરે આવતા હતા. દરમિયાન રોશની નગરમાં તેમના ઘરે પાસે ૯.૧૫ કલાકની આસપાસ પોતાની બાઇક ઊભી રાખતાની સાથે અચાનક કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પાછળ થી તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અચાનક ફાયરિંગનો અવાજ આવતા જ આસપાસના પાડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે જોતાં સમીમ ખાન લોહીલુહાણ હાલતમાં તેમની બાઇક પાસે પડ્યા હતા. જેમને પાડોશીઓ દ્વારા તાત્કાલિક જ્યાબેન મોદી હોસ્પીટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

પરંતુ હોસ્પિટલના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસને કરાતાં પોલીસે ઘટના સ્થળે જઈ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્કોડ અને એફ.એસ.એલ.ની પણ મદદ લઇ અને વધુ તપાસ હાથ ધરવા કવાયત હાથ ધરી છે. હાલમાં તો બે અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ કરી હત્યા નિપજાવી હોવાના મળ્યા અહેવાલ મળી રહ્યા છે.

(1:04 pm IST)