Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ઉત્તરાયણ : આવતીકાલે ચારે બાજુ કાપ્યો-લપેટની ધુમ હશે

પતંગબાજો ઉત્તરાયણને લઇને પહેલાથી જ તૈયાર થયા છે : જુદા જુદા પ્રકારના રંગબેરંગી આકર્ષક પતંગોથી આકાશ ભરાશે : ધાબાઓ ભરચક દેખાશે : નાસ્તાની જુદી જુદી વેરાઈટી પણ તહેવારને રોચક બનાવશે

અમદાવાદ, તા.૧૩ : પતંગના રસિયાઓ અને સામાન્ય લોકો પણ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હોય છે તે ઉત્તરાયણની આવતીકાલે શાનદાર અને પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવનાર છે. આવતીકાલે ઉત્તરાયણના દિવસે  એ કાપ્યો.... લપેટની ધૂમ શહેરમાં ચારેબાજુ જોવા મળશે. નાના અને મોટા મકાનો તથા અન્યત્ર જગ્યાઓ પર નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી ભીડ જોવા મળશે. દરેક વયના લોકો મનમુકીને ઉત્તરાયણની ઉજવણી કરતા નજરે પડશે. અમદાવાદ શહેરમાં પતંગની ઉજવણીની પરંપરાનો ઇતિહાસ ખૂબ જુનો રહેલો છે. અમદાવાદ એ ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટેનું એક અનોખુ સ્થળ બની ગયુ છે. ભારતમાં માત્ર અમદાવાદની અંદર જ પતંગની સૌથી વધારે બોલબાલ જોવા મળે છે. પતંગ બજારનું કદ પણ અભૂતપૂર્વ સપાટી પર પહોંચી ગયુ છે. નવી નવી બનાવટનું સૌથી મોટુ હોલસેલ બજાર તરીકે અમદાવાદ ઉભરી આવ્યું છે. અમદાવાદમાંથી જ જુદી જુદી જગ્યાઓ ઉપર પતંગો પહોંચાડવામાં આવે છે. પતંગ ઉત્સવ અથવા તો ઉત્તરાયણ માત્ર બે દિવસનો તહેવાર નથી પરંતુ આ તહેવાર પાછળ ૧૨ મહિનાની મહેનત લાગેલી હોય છે. બે દિવસનો તહેવાર આખા વર્ષની રોજગારી પણ ઘણા લોકોને ઉપલબ્ધ કરાવે છે. પતંગના નિર્માણમાં જુદા જુદા સમુદાયના લોકો સંકળાયેલા છે. ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકો પતંગ બનાવવામાં વધુ જોડાયેલા છે. ઉત્તરાયણના મહિના કે બે મહિના અગાઉ જાહેરાતો વળા પતંગો બનવવામાં આવે છે. મોટાભાગે મધ્યમ કદના પતંગોનું વેચાણ સૌથી વધારે પ્રમણમાં થાય છે. છોટા ભીમ, બેનટેન, સુપરમેન જેવા કાર્ટૂનના ચિત્રવાળા પતંગ પણ બજારમાં વધારે પ્રમાણમાં વેચાઈ ચુક્યા છે. આવતીકાલે ઉત્તરાયણના દિવસે આ પતંગોની બોલબાલા રહેશે.  અમદાવાદ શહેરમાં ખાસ કરીને પોળમાં પતંગની ઉજવણી વધારે શાનદાર રીતે થાય છે.

સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે

ઉત્તરાયણ શુભ મૂર્હુત તરીકે પણ છે

                                  અમદાવાદ, તા.૧૩ : ઉત્તરાયણ તહેવારની ઉજવણી પાછળનું ખાસ કારણ એમ માનવામાં આવે છે કે સૂર્ય પોતે દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરે છે અને આ સમયનો સૂર્યપ્રકાશ શરીર માટે ખુબ સારો સાબિત થાય છે. વિવિધ ધર્મોની માન્યતા જુદી જુદી રીતે આમાં જોડાયેલી છે. જ્યોતિષ શાસ્ત્રનું કહેવું છે કે સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થળાંતર કરે છે આ પ્રમાણે વર્ષમાં કુલ ૧૨ સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાં સ્થળાંતર કરે છે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે. કારણ કે આ સમય સૂર્ય પૃથ્વીની આજુ બાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિભ્રમણ થાય છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ખશે છે. સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મૂર્હુત તરીકે પણ જોવામાં આવે છે. જુદી જુદી સંસ્કૃતિઓમાં ઉત્તરાયણની ઉજવણી જુદી જુદી રીતે થાય છે.

(12:56 pm IST)