Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

એટ્રોસીટીના દુરપયોગ સામે કરણીસેના હલ્લાબોલ કરશે

દેશના ૨૦ રાજયોમાંથી હજારો કાર્યકરો આવશે : વિવિધ મુદ્દાઓને લઇને કરણી સેના રેલી અને સભા કરશે

અમદાવાદ, તા.૧૨ : એટ્રોસીટી એકટના દૂરપયોગના વિરોધમાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા દેશને દુષ્કર્મ મુકત બનાવવાની માંગણીઓ સાથે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાએ તા.૧૫મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે મહારેલી અને સભાનું આયોજન કર્યું છે. સાથે સાથે રામકથા મેદાનમાં મહાસભા યોજવામાં આવશે. કરણી સેનાના આંદોલનમાં દેશના જુદા જુદા ૨૦ રાજ્યોમાંથી કરણીસેનાના કાર્યકરો આવશે. કરણી સેનાના આંદોલનને બ્રાહ્મણ અને માલધારી, ચારણ સહિતના વિવિધ સમાજ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે એમ અત્રે ગુજરાત રાજય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તા.૧૫મી ડિસેમ્બરની મહાસભા અને રેલીની મંજૂરી માટે અમે બે મહિના પહેલા અરજી કરી દીધી છે. જો મંજૂરી નહીં મળે તો ઉપવાસ કરીને મંજૂરી મેળવીશું અને આમ છતાં મંજૂરી નહીં આપવામાં આવે તો પણ સભા અને રેલી યોજવા અમે મક્કમ છીએ.

           ગુજરાતમાં  ગામડે ગામડે જઈને કરણીસેનાએ લોકોને રેલીમાં જોડવા માટે આહવાહન કર્યું છે. ગુજરાત રાજય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે વધુમાં ઉમેર્યું કે, ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા, એટ્રોસીટી એકટનો દૂરપયોગ રોકવા અને આર્થિક પરિબળને લઇ અનામત સહિતના મુદ્દાઓને લઇ હવે કરણી સેના આંદોલનના મંડાણ કરવા જઇ રહી છે અને તેના ભાગરૂપે તા.૧૫મી ડિસેમ્બરે ગાંધીનગરમાં વિશાળ રેલી અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર રાજપૂત સમાજ કે ક્ષત્રિય સમાજ નહી પરંતુ તમામ સમાજના લોકો અને આગેવાનો સામેલ થશે અને કરણી સેનાની સામાજિક લડતમાં જોરદાર ટેકો આપશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કચ્છના રાપર ખાતે એક જાહેરસભા દરમ્યાન ઉશ્કેરણીજનક અને ભડકાઉ ભાષણ બદલ ગુજરાત રાજય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત વિરૂધ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી.,

            જેને લઇ સમગ્ર રાજપૂત સમાજ અને કરણી સેનાના હજારો કાર્યકરોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, કેટલાક સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા એટ્રોસીટી એકટનો દૂરપયોગ કરી ખોટી રીતે ફરિયાદ દાખલ કરાઇ છે. માત્ર મારા પૂરતી વાત નથી પરંતુ એક સામાજિક બદીના રૂપમાં સમસ્યા આકાર લઇ રહી છે, તેથી એટ્રોસીટી એકટનો દૂરપયોગ રોકવો પડશે અને માટે તમામ સમાજને સાથે લઇને લડત આપવાનું નક્કી કરાયું છે. દેશના જુદા જુદા ૨૦ રાજ્યોમાંથી કરણીસેનાના હજારો કાર્યકરો અહીં આવશે અને સરકાર સમક્ષ ઉપરોકત પ્રજાલક્ષી માંગણીઓ રજૂ કરશે.

(8:46 pm IST)