Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ભાજપના અહંકારને પ્રજાએ હવે ફગાવી દીધો : શંકરસિંહ

પરિણામ બાદ વાઘેલાના ભાજપ પર પ્રહાર : રામના નામ ઉપર પથરાઓ ભલે તરે પણ ભાજપ ન તરે : આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલનું રાજીનામું યોગ્ય રહ્યંુ

અમદાવાદ, તા.૧૨ : પાંચ રાજયોના ચૂંટણી પરિણામોને લોકસભાની ચૂંટણી માટેના ફિલ્મનું ટ્રેલર ગણાવતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે ભાજપને આડા હાથે લેતાં જણાવ્યું હતું કે, રામના નામે પથરા ભલે તરે, પરંતુ ભાજપ નહીં જ તરે. આ ચૂંટણી પરિણામોનું શ્રેય પ્રજાને આપતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સત્ત્।ાના અહંકારમાં રૂપિયાથી મત ખરીદી શકાતા હોવાના ભાજપના અહંકારને પ્રજાએ ફગાવી દીધા છે. તેમણે પરિણામોના એક દિવસ પહેલા આરબીઆઈનાં ગવર્નર ઊર્જિત પટેલે આપેલા રાજીનામાને સાચી દિશાનું પગલું જણાવતા કહ્યું કે, ત્રણ લાખ કરોડ રૂપિયા ભાજપ સરકારને ચૂંટણીમાં ઉડાવવા માટે અપાય નહીં. પાંચ રાજયોના ચૂંટણીના પરિણામો અંગે પ્રતિભાવ આપતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ભાજપ દ્વારા જુઠ્ઠા વચનો આપવા સાથે ડરાવી-લલચાવીને સત્ત્।ા મેળવવાના કરાયેલા પ્રયાસો સામે મતદારોએ લાલ આંખ કરી છે. આ ચૂંટણીમાં છેલ્લે રામ મંદિરના મુદ્દે રૂપિયા વહેંચીને માર્કેટિંગ કરવા છતાં વકીલાત કરવા નીકળેલા ભકતોને પ્રજાએ લપડાક મારી છે. રાજયમાં કાયદો-વ્યવસ્થા કથળવા સાથે હોમવર્ક વિના જીએસટી અને નોટબંધીના નિર્ણયના કારણે જીડીપી અને વેપાર ઘટવાની સાથે બેકારીમાં વધારો થયો છે.

તેમણે વધુમાં કહ્યું કે, હુંના અહંકારમાં દર વર્ષે ચૂંટણીઓ માત્ર ભાષણબાજી કરી બોગસ વચનો આપનાર ભાજપે કોઈ વચનો પુરા કર્યા નથી. આથી પ્રજાએ મત નહીં આપી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ટ્રેલર બતાવી પરિવર્તન લાવી શકતા હોવાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ પરિણામોમાં વિલંબ અંગે ચૂંટણી પંચ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, આ પરિણામોથી વિપક્ષોના મહાગઠબંધનના પ્રયાસોને બળ મળશે. બે દિવસ પહેલા મળેલી બેઠકમાં ૧૮ રાજકીય પક્ષના હકારાત્મક વલણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અગાઉ ડો. મનમોહનસિંહે ૧૦ વર્ષ સુધી ગઠબંધન સરકાર ચલાવી છે. આ પ્રસંગે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વખાણ કરતા કહ્યું કે, તે રાજકીય કિન્નાખોરી નથી રાખતા લોકશાહીને વરેલા વ્યકિત છે. તેમણે આરબીઆઈના ગવર્નર પટેલના રાજીનામાં અંગે કહ્યું કે, ૩ લાખ કરોડ રૂપિયા ઝૂંટવી લેવાનાં દબાણનું આ પરિણામ છે. જેના કારણે દેશની ઈકોનોમી ૪૦ વર્ષ પાછળ ધકેલાઈ જશે. વાદ્યેલાએ આજના પરિણામો લોકસભાની ચૂંટણીમાં ભાજપના વળતા પાણી હોવાના સાફ સંકેત સમાન ગણાવ્યા હતા.(૩૭.૨)

(1:00 pm IST)